Latest

Saturday, March 28, 2020

સુરત: કોરોનાના ડરને છોડીને સ્વચ્છતા જાળવવવા કટિબદ્ધ સફાઈકર્મી, કહ્યું- ‘ઈશ્વર પર ભરોસો’

મેલ્વિન રિગ્ગી થોમસ, સુરત: અનિલ રાઠોડ સવારે 6 વાગ્યે ઘરેથી નીકળે ત્યારે તેની પાંચ વર્ષની દીકરી પૂજા જાગી જાય છે. પૂજા અનિલને વિનંતી કરતાં કહે છે, “પપ્પા તમે બીમાર થઈ જશો, બહાર ના નીકળો.” ભેંસાણ ગ્રામ પંચાયતનો સફાઈ કર્મચારી અનિલ દીકરીને સમાધાનકારી સ્મિત આપે છે અને બપોર સુધીમાં સુરક્ષિત રીતે ઘરે આવી જવાનું વચન આપે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

લોકડાઉન અને કોરોના વાયરસના ભય વચ્ચે આ 34 વર્ષીય સફાઈકર્મી ટ્રેક્ટર લઈને જહાંગીરપુરાની પંચાયતની હદમાં આવતી રહેણાંક સોસાયટીઓમાંથી કચરો એકત્ર કરે છે. ગમબૂટ્સ, હાથમાં ગ્લવ્ઝ અને મોંઢા પર રૂમાલ બાંધીને અનિલ રાઠોડ 15 હાઉસિંગ સોસાયટીઓમાંથી કચરો એકત્ર કરે છે. બાદમાં અડાજણમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ડમ્પિંગ માટે વિકસાવેલ સુવિધામાં ઠાલવી દે છે.

જહાંગીરપુરાના વૈષ્ણોદેવી એપાર્ટમેન્ટની બહાર મૂકાયેલા કચરાના ડ્રમ ખાલી કરતાં અનિલ રાઠોડ કહે છે, “લોકો કહે છે કે શહેરમાં કોઈ જીવલેણ વાયરસ ફેલાયો છે. મને તેના વિશે વધુ જાણકારી તો નથી પરંતુ મારા સાહેબે (ઉપરી અધિકારી) મને ગમબૂટ્સ, ગ્લવ્ઝ અને મોંઢા પર રૂમાલ બાંધવાની સૂચના આપી છે.” અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં અનિલે કહ્યું, “હું છેલ્લા 6 વર્ષથી આ કામ કરું છું અને બધું બરાબર છે. જો હું બીમારીનો ડર રાખીને ઘરે બેસી રહીશ તો મારો પરિવાર ભૂખે મરી જશે.”

થોડા દિવસ પહેલા અનિલ રાઠોડનો સાથી કર્મચારી બીમાર પડી ગયો. ત્યારે પંચાયતના અધિકારીઓએ અનિલને ઘરે ના રહેવાની સૂચના આપી. મહિને 8,000 રૂપિયા જેટલી નજીવી કમાણી કરતાં અનિલે કહ્યું, “મારે ટ્રેક્ટર ચલાવવાનું, કચરો એકઠો કરવાનું અને અડાજણ સ્થિત કલેક્શન સેન્ટરમાં ઠાલવવાનું કામ એકલા હાથે કરવું પડે છે. કચરો એકત્ર કરતો મારો સાથી બીમાર હોવાથી બધું જ એકલા હાથે કરવું પડે છે. આ સમયગાળામાં હાઉસિંગ સોસાયટીઓમાંથી કચરો એકઠો કરવો ખૂબ જરૂરી છે, તે હું સારી રીતે જાણું છું.”

COVID-19ના ફેલાવા પછી સોસાયટીઓમાં રહેતા લોકોનું વલણ તેની તરફ બદલાયું છે એ વાત કરવાનું અનિલ ચૂક્યો નહીં. સોસાયટીના રહીશો તેને ચા આપે છે તો વળી કેટલાક તેને નાસ્તો, પાણી અને કપડાં પણ આપે છે. અનિલે જણાવ્યું, “અગાઉ કોઈ ખાસ કાળજી નહોતું લેતું પરંતુ હવે તેઓ દયાળુ બન્યા છે. શહેરમાં આ રોગ ફેલાયો છે ત્યારથી લોકોમાં ઘણું પરિવર્તન આવ્યું છે.”

અનિલે કહ્યું, “બે દિવસ પહેલા હું મારા ટ્રેક્ટરમાં કચરાના ડ્રમ ખાલી કરતો હતો ત્યારે એક બહેન મારી પાસે આવ્યા હતા. તેમણે મને મારા બાળકો અને તેમની ઉંમર વિશે પૂછ્યું. મને રાહ જોવાનું કહીને અંદર જતા રહ્યા. 15 મિનિટ પછી તેઓ મારા બાળકો માટે કપડાં લઈને આવ્યા હતા.” કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે કચરો એકત્ર કરતી વખતે ડર નથી લાગતો? આ સવાલના જવાબમાં અનિલે કહ્યું, “મને ખબર છે કે પરિણામ ભયાનક હોઈ શકે છે પરંતુ મને ભગવાનમાં આસ્થા છે. જો હું કચરો નહીં ઉપાડું તો હજારો લોકોના સ્વાસ્થ્યને નુકસાન થશે.”

યુજવેન્દ્ર ચહલે ડાન્સ કરતા કહી એવી વાત કે પપ્પા મારવા દોડ્યા



from Page Array – I Am Gujarat https://ift.tt/2UC0Yow

No comments:

Post a Comment

Pages