Latest

Tuesday, April 7, 2020

ગુજરાતમાં 14 એપ્રિલ પછી લોકડાઉન લંબાવાશે કે હટાવાશે? લોકોમાં ઉત્સુકતા સાથે ચિંતા

નિકુંજ સોની, અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી લોકડાઉન ચાલી રહ્યું છે. જેમ-જેમ કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોકડાઉનની છેલ્લી તારીખ આવી રહી છે તેમ-તેમ આ લોકડાઉન લંબાશે તેવી અટકળો પણ શરુ થઈ ગઈ છે. લોકો પણ હવે 14મી પછી લોકડાઉન પૂરું થઈ જશે કે પછી લંબાશે તો કેટલા દિવસ માટે લંબાશે તેને લઈને ઉત્સુકતા અને ચિંતા બંને અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં લોકડાઉન લંબાશે કે કેમ તે અંગેનો નિર્ણય તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા 11મી એપ્રિલે લેવાઈ શકે છે. જોકે, એવી પણ ચર્ચા છે કે સ્થિતિની સમીક્ષા કરી લોકડાઉનને તબક્કાવાર રીતે ઉઠાવાઈ શકે છે. આ અંગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપે ત્યારપછી કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

જેમ-જેમ લોકડાઉનના દિવસો વીતી રહ્યા છે તેમ-તેમ 14મી એપ્રિલ પછી શું થશે તેને લઈને ઉત્સુકતા વધી રહી છે. બીજી તરફ, કોંગ્રેસે ગવર્નરને આવેદનપત્ર આપવાની છે, અને તેણે રાજ્ય સરકારને પણ પૂછ્યું છે કે લોકડાઉન હટાવવા અંગે તેનું શું માનવું છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના જણાવ્યા અનુસાર, લોકડાઉનની જાહેરાત કરાઈ ત્યારે સરકારે વિપક્ષને વિશ્વાસમાં નહોતો લીધો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ રાજ્યપાલને આવેદનપત્ર આપી ટેસ્ટિંગ વધારવામાં આવે અને જરુરિયાતમંદો સુધી ખાવા-પીવાનો સામાન પહોંચી રહે તે સુનિશ્ચિત કરવાની માગ કરાશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણીએ અમારા સાથી અખબાર અમદાવાદ મિરરને જણાવ્યું હતું કે, લોકડાઉન અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પર છોડ્યો છે. પીએમે જ 14 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે તેવી જાહેરાત કરી હોવાથી હવે તે રાજ્યનો વિષય નથી રહેતો. આ કોઈ નાનીસૂની વાત નથી. લોકડાઉન અંગે નિર્ણય લેતા પહેલા તમામ પરિબળોનો અભ્યાસ કર્યા બાદ અત્યંત કાળજીપૂર્વક નિર્ણય લેવો પડશે.

રાજ્યમાં લોકડાઉન ક્યારે ઉઠાવાશે, અને જો ઉઠાવાશે તો એકસાથે ઉઠાવાશે કે તબક્કાવાર ઉઠાવાશે તે અંગે રાજ્ય સરકારે હાલ કોઈ નિર્ણય નથી લીધો તેમ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મિરરને જણાવ્યું હતું.

રાજ્યમાં કોરોના 14 જિલ્લામાં ફેલાઈ ચૂક્યો છે, અને તેના કન્ફર્મ કેસનો આંકડો 06 એપ્રિલ, રાત્રે 8 વાગ્યા સુધીની માહિતી અનુસાર 146 સુધી પહોંચી ગયો છે. જેમાં અમદાવાદ 64 પોઝિટિવ કેસ સાથે સૌથી આગળ છે, અને ત્યારબાદ સુરત, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટનો નંબર આવે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2ULCSsO

No comments:

Post a Comment

Pages