Latest

Friday, April 10, 2020

અ’વાદ: લગ્નને હજી તો મહિનો પણ નથી થયો ને ફરજ પર હાજર થયાં આ ‘કોરોનાવીર’

પાર્થ શાસ્ત્રી, અમદાવાદ: COVID-19ના સંક્રમણના વધતા ખતરા વચ્ચે ‘કોરોના વોરિયર્સ’ ખડેપગે છે. પોલીસકર્મીઓ અને ડૉક્ટરો સહિતનો મેડિકલ સ્ટાફ મહામારીને મહાત આપવા માટે કાર્યરત છે. ‘કોરોનાવીર’ પરિવારની કે પોતાની ચિંતા કર્યા વિના રાજ્ય અને દેશને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા જ એક ‘કોરોનાવીર’ છે રેશમાબાનુ મન્સૂરી. તેઓ ઈમર્જન્સી એમ્બ્યુલન્સ 108માં EMT (ઈમર્જન્સી મેડિકલ ટેક્નિશિયન) તરીકે ફરજ બજાવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શહેરના પશ્ચિમ વિસ્તારમાં તહેનાત રેશમાબાનુ અને એમ્બ્યુલન્સના પાઈલટ સવારથી કોવિડ-19ના શંકાસ્પદ કેસોને લગતા ફોનને લઈને અલર્ટ રહે છે. તેમની એમ્બ્યુલન્સ ખાસ કોવિડ-19ના દર્દીઓને ફાળવવામાં આવી છે. મતલબ કે તેઓ અન્ય દર્દીને તેમાં લઈ જઈ ના શકે. સાબરકાંઠાના ઈડરના મૂળ વતની રેશમાબાનુએ કહ્યું, “દરેક દર્દીને અમારે સાવધાનીપૂર્વક લઈ જવા પડે છે. બધા કોરોનાના સંભવિત દર્દી હોઈ શકે છે.”

નિષ્ઠાથી પોતાને સોંપાયેલી કામગીરી કરતાં રેશમાબાનુએ કોઈને અણસાર પણ નથી આવવા દીધો કે હજી તેમના લગ્નને એક મહિનો પણ નથી થયો. EMRIના અધિકારીઓએ કહ્યું, ‘માર્ચ મહિનાના અંતમાં લગ્ન કર્યાના બે દિવસ પછી જ રેશમાબાનુએ પોતાના સુપરવાઈઝરને ફોન કર્યો હતો. અને ફરીથી ડ્યૂટી પર હાજર થઈ શકે છે તેમ પૂછ્યું હતું.’ અધિકારીએ જણાવ્યું, “અમે જલદી જ તેમને વળતર રજા આપીશું.”

ગુજરાતમાં EMRIના COO જશવંત પ્રજાપતિએ જણાવ્યું, “108 એમ્બ્યુલન્સ, 104 ફીવર હેલ્પલાઈન અને 1100 હેલ્થ હેલ્પલાઈનના સ્ટાફ મેમ્બર્સ હાલ તો ગુજરાતમાં કોવિડ-19 લડતમાં કરોડરજ્જુ સમાન છે.”

ચાંદખેડાના કોવિડ-19 એમ્બ્યુલન્સના ડ્રાઈવર નરેન્દ્રસિંહ બિહોલાની પત્નીને કિડનીનું ઈન્ફેક્શન હોવાનું નિદાન થયું છે. બિહોલાએ કહ્યું, “મારી પત્નીની સારવાર માટે હું રજા પર હતો પરંતુ આ મહામારી ફાટી નીકળી અને મને ખબર હતી કે મારે શું કરવાનું છે. મારો પરિવાર ખૂબ સહકાર આપે છે અને હાલ તેઓ હોસ્પિટલમાં રહેલી મારી પત્નીની દેખરેખ રાખે છે.”

અન્ય એક કોરોનાવીર છે જે બે ટ્વિન્સના માતા છે. જયા રાઠોડ અમદાવાદ જિલ્લાના વહેલાલમાં EMT તરીકે ફરજ બજાવે છે. તેમણે કહ્યું, “લગ્નના સાત વર્ષ પછી IVF દ્વારા અમારા ઘરે પારણું બંધાયું છે. મારા ટ્વિન્સના જન્મને હજી 3 મહિના જ થયા છે. હાલ હું ફરી એમ્બ્યુલન્સની મારી ડ્યૂટી પર જોડાઈ છું જેથી સમાજની સેવા કરી શકું.”

ઈમર્જન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ સતિન્દર સંધુ અમદાવાદના 10 સ્થળોએ કામગીરીનું નિરીક્ષણ રાખે છે. તેમને પંજાબમાં રહેતા પોતાના પરિવારની ચિંતા છે. સંધુએ કહ્યું, “મારા બે દીકરામાંથી એકને હાડકાંની તકલીફ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે તેવી સ્થિતિ છે. પરંતુ આ મહામારીના કારણે મેં મારી રજાઓ કેન્સલ કરી. હાલ હું કોવિડ-19ના દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સોનું કોઓર્ડિનેશન કરું છું.”

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સાંજ સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના 262 કેસ પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં ગુરુવારે કોરોનાના 76 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો આ તરફ દેશમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ગુરુવારે દેશમાં કોરોનાના 781 કેસ પોઝિટિવ નોંધાયા હતા. એક દિવસમાં પહેલીવાર દેશમાં આટલી મોટી સંખ્યામાં કોવિડ-19ના કેસ નોંધાયા હતા.

હૈદરાબાદ શહેરના રસ્તા પર દોડી રહી છે ‘કોરોના વાયરસ’ કાર



from Page Array – I Am Gujarat https://ift.tt/2JU0bua

No comments:

Post a Comment

Pages