Latest

Monday, April 27, 2020

સુરત: કોરોનાને મહાત આપીને ઘરે આવ્યા બે બાળકો પણ પપ્પાથી આ કારણે છે નારાજ

મેલ્વિન રેજી થોમસ, સુરત: ‘હું મારા પપ્પા સાથે વાત નહીં કરું કારણે પેલા દિવસે તેઓ જૂઠ્ઠુ બોલ્યા હતા.’ આ શબ્દો છે ચાર વર્ષના જીત રાણાના જેણે રવિવારે કોરોના વાયરસને મહાત આપી છે. ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે જઈ રહેલા જીતે પપ્પા સામે નારાજગી વ્યક્ત કરી હતી. માનદરવાજા ટેનામેન્ટનો રહેવાસી જીત અને પાંચ વર્ષનો પિતરાઈ ભાઈ વેદિક રાણા કોરોના વાયરસથી સંપૂર્ણપણે સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

18 એપ્રિલે આ બંને ભાઈઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને છળ કરીને હોસ્પિટલ લવાયા હતા. જીતને તેના પિતાએ કહ્યું હતું કે, ડૉક્ટરો તેને ફોઈના ઘરે લઈ જશે. પરંતુ તે હોસ્પિટલમાં જ રહેતા ખિજાઈ ગયો હતો. હોસ્પિટલના ‘પ્રવાસ’થી નાખુશ નાનાકડા કોરોના ફાઈટર જીતે કહ્યું, “મને હોસ્પિટલ જરાય ગમતી નથી કારણે અહીં ડૉક્ટરો મને રોજ કડવી દવા ખવડાવતા હતા.”

માનદરવાજા ટેનામેન્ટ ખાતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે કમ્યુનિટી સેમ્પલિંગ હાથ ધર્યું એ વખતે જીત અને વેદિક કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આ વિસ્તાર કોરોનાનો હોટસ્પોટ છે. અહીં છેલ્લા થોડા દિવસોમાં 140થી વધુ કેસ નોંધાયા છે. જો કે, કમ્યુનિટી સેમ્પલિંગ વખતે બંને છોકરાઓના માતા-પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ થયેલા બંને બાળકોની મમ્મીઓને સાથે રહેવાની ડૉક્ટરોએ મંજૂરી આપી હતી. ન્યૂ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19થી સંક્રમિત બાળકો માટે અલગ પીડિયાટ્રિક વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે.

મહિધરપુરામાં ડાયમંડ પોલિશિંગનું કામ કરતાં જીતના પિતા યોગેશ રાણાએ કહ્યું, “અમારા બંને દીકરાઓ પોઝિટિવ આવ્યા અને અમે નેગેટિવ આ કેવી રીતે શક્ય છે?” હોસ્પિટલમાં રહેલા જીતે આ દિવસો દરમિયાન પિતા સાથે વાત કરવાનું બંધ કરી દેતાં તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. લાચાર પિતા યોગેશ રાણાએ જણાવ્યું, “મારો દીકરો મારી સાથે વાત નથી કરતો કારણકે હું જૂઠ્ઠું બોલીને તેને હોસ્પિટલ લઈ ગયો હતો. પણ હું શું કરી શક્યો હોત?”

જીતના મમ્મી રંજનબેને કહ્યું, “અમારા બાળકોમાં ઈન્ફેક્શનના કોઈ જ લક્ષણો નહોતા દેખાતા. તેઓ જાણે ઘરે હોય એ રીતે જ વોર્ડમાં રમતા હતા. અમે નસીબદાર છીએ કે, અમારા બાળકોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે.”

વેદિકના મમ્મી જિગિષાબેને કહ્યું, “કોરોના એક અઠવાડિયામાં આવ્યો અને જતો રહ્યો. હું ખુશ છું કે અમારા બંને દીકરાઓ સ્વસ્થ છે અને ઝડપથી સાજા થઈ ગયા છે. હોસ્પિટલમાં યોગ્ય ભોજન, પાણી અને ઊંઘવા માટેની જગ્યા સહિતની ઘણી તકલીફ પડી પરંતુ અમે અમારા દીકરાઓની સુખાકારી માટે બધી જ બાબતો સાથે સમાધાન કરી લીધું.”

તો આ તરફ રાજકોટમાં પણ કોરોના વાયરસના એક દર્દી સાજા થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું કે, અશોક સિદ્ધપરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલે કહ્યું, “છેલ્લા 24 કલાકમાં અશોક સિદ્ધપરાનો બે વખત ટેસ્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો.” અશોક સિદ્ધપરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોરબીમાં તેઓ રહે છે તે ઉમા ટાઉનશીપને ક્વોરન્ટીન કરવામાં આવી હતી.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/35asGgM

No comments:

Post a Comment

Pages