15 દિવસથી એક મહિનો લંબાશે લોકડાઉન
મુંબઈ/હૈદરાબાદ: કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્ર અને જ્યાં ઝડપથી કેસ વધી રહ્યા છે તેવા તેલંગાણામાં લોકડાઉન લંબાવાની પૂરી શક્યતા છે. મહારાષ્ટ્ર વધુ એક મહિના માટે જ્યારે તેલંગાણા 15 દિવસ માટે સખ્ત લોકડાઉનનો અમલ કરાવી શકે છે. આ પહેલા રવિવારે મણિપુરમાં લોકડાઉન 15 દિવસ લંબાવવાની જાહેરાત કરાઈ હતી. આ ત્રણેય રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, અને હાલના લોકડાઉનની અવધિ 30 જૂને પૂર્ણ થઈ રહી છે.
છૂટછાટનો ખોટો મતલબ ના કાઢશો: ઠાકરે

મહારાષ્ટ્રના સીએમ સ્પષ્ટ સંકેત આપી ચૂક્યા છે કે 30 જૂન બાદ પણ લોકડાઉનમાં રાહત નહીં મળે. જોકે, આર્થિક ગતિવિધિઓ વધારવા માટે વધુ છૂટછાટ ચોક્કસ અપાશે. તેમણે જણાવ્યું હતું કે છૂટછાટ જાહેર પણ કરાય તો પણ તેનો મતલબ એવો ના કાઢવો કે હવે ખતરો ટળી ગયો છે. તેમણે કહ્યું હતું કે લોકો એવી માનસિકતા ના બનાવી લે કે હવે આપણે જોખમની બહાર આવી ગયા છીએ.
મુંબઈમાં નાકાબંધી વધારાઈ

મુંબઈ પોલીસે લોકોને કામ સિવાય પોતાના ઘરથી બે કિમીથી વધુ દૂર ના જવા માટે નિર્દેશ આપ્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોલીસે ગઈકાલે જણાવ્યું હતું કે લોકો ખરીદી કરવા, સલુન પર કે પછી જોગિંગ કરવા પોતાના ઘરથી બે કિમીથી વધુ દૂર ના જાય. જો આમ કરતાં કોઈ પકડાયું તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે. મુંબઈમાં પોલીસે ઠેર-ઠેર નાકાબંધી કરીને 7000 જેટલી પીસીઆર વાન તૈનાત કરી દીધી છે.
ના છૂટકે લોકડાઉન કરવું પડશે

ઠાકરેએ જણાવ્યું હતું કે ઘણા લોકોએ તેમને ફરી સખ્ત લોકડાઉન શરુ કરવા સલાહ આપી હતી, કારણકે લોકો ઘણી જગ્યાએ કારણ વિનાની ભીડ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે જો લોકો કારણ વિના ઘરની બહાર ટહેલવાનું બંધ નહીં કરે તો જે વિસ્તારોમાં કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યાં નાછૂટકે ફરી સખ્ત લોકડાઉન કરવું પડશે.
લોકો માસ્ક પહેવાનું પણ ટાળે છે

મહારાષ્ટ્રના એક વરિષ્ઠ IPS અધિકારીએ જણાવ્યું હતું કે લોકો લોકડાઉનને ગંભીરતાથી નથી લઈ રહ્યા. છૂટછાટ અપાતા પરા વિસ્તારમાં રહેતા લોકો મરિન ડ્રાઈવ પહોંચી જાય છે, બીચ પર લોકો ઉમટી રહ્યા છે અને તેઓ માસ્ક પહેરવાની દરકાર પણ નથી લેતા.
તેલંગાણામાં સ્થિતિ ગંભીર

બીજી તરફ, તેલંગાણામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી રોજના એક હજાર જેટલા નવા કેસો આવી રહ્યા છે. સીએમ કેસીઆરે જણાવ્યું છે કે ગ્રેટર હૈદરાબાદ વિસ્તારમાં સરકાર સખ્તાઈથી લોકડાઉન કરાવવા જઈ રહી છે. અહીં છેલ્લા 15 દિવસથી કોરોનાનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી ત્રણથી ચાર દિવસમાં આ લોકડાઉનની સમયમર્યાદા અંગેનો નિર્ણય કરાશે.
મણિપુરમાં 15 દિવસ લંબાયું લોકડાઉન

મણિપુરના સીએમ એન બિરેન સિંઘના જણાવ્યા અનુસાર, હાલ માત્ર રાત્રી કરફ્યુ જ ચાલુ છે તેના બદલે દિવસ દરમિયાન પણ કરફ્યુ નાખી જીવનજરુરી ચીજવસ્તુઓ ખરીદવા એકાદ-બે કલાકની છૂટ આપવાની જરુર છે. ફ્લાઈટ અને ટ્રેનો પણ અટકાવી દેવી જોઈએ. તેમણે રાજ્યમાં 15 જૂલાઈ સુધી થોડી છૂટછાટો સાથે લોકડાઉન લંબાવાશે તેમ પણ જણાવ્યું હતું.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eJ1oSK
No comments:
Post a Comment