નવી દિલ્હી: 30 જૂને અનલોક-1 સમાપ્ત થઈ રહ્યું છે. આવતા મહિને સરકાર વધુ છૂટછાટો જાહેર કરશે તેવી અપેક્ષાઓ વચ્ચે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે દેશમાં કુલ 20 હજાર જેટલા નવા કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિએ કુલ નોંધાયેલા કેસોની સંખ્યા હવે 5,28,859 પર પહોચી ગઈ છે. જ્યારે મોતને ભેટનારા લોકોનો આંકડો હવે 16,095 થયો છે.
મધ્ય પ્રદેશ અને યુપીએ હવે કોરોનાના દર્દીઓને શોધવા ડોર ટૂ ડોર સરવે કરવાનું નક્કી કર્યું છે. સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્ર, દિલ્હી ઉપરાંત તેલંગાણામાં પણ નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં પણ ગઈકાલે રેકોર્ડ 600થી વધારે નવા દર્દી નોંધાયા હતા. ગઈકાલે કોરોનાથી વધુ 410 દર્દીઓના મોત થયા હતા.
કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે રાહતના સમાચાર એ છે કે દેશમાં અત્યારસુધી 3,09,713 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. રિકવરીનો રેટ હવે સુધરીને 58.56 ટકા પર પહોંચ્યો છે. હવે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારાઈ છે. 27મી જૂને દેશમાં 2.31 લાખ ટેસ્ટ કરાયા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યારસુધી 82.27 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં પોઝિટિવિટી રેટ 8.61 ટકા નોંધાયો છે.
વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. 28 જૂન સવાર સુધીના આંકડા અનુસાર કુલ કેસોની સંખ્યા 1 કરોડ થવા આવી છે, જ્યારે તેનાથી મોતને ભેટનારા લોકોનો આંકડો 4.98 લાખ થયો છે. હાલ 44.30 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 50.46 લાખ સાજા થઈ ચૂક્યા છે. અમેરિકા હજુય વિશ્વમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ ધરાવતો દેશ છે. અહીં કુલ કેસોની સંખ્યા 25 લાખથી પણ આગળ નીકળી ચૂકી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/31mGvcl
No comments:
Post a Comment