Latest

Thursday, June 25, 2020

આ વર્ષે ગણેશ મહોત્સવ નજીક હોવા છતાં ઓર્ડર ન મળતા મૂર્તિકારો બેકાર બેઠા છે

વડોદરાઃ જૂન મહિનાના અંત સુધીમાં દર વર્ષે વડોદરામાં ગણપતિની મૂર્તિ બનાવતા મૂર્તિ કલાકારો ઓર્ડરના 30 ટકા કામ પૂરું કરી ચૂક્યા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કેસોમાં ઘટાડાના કોઈ સંકેત ન દેખાતા તેમને ઓર્ડર મળશે કે નહીં તે પણ ખબર નથી. આ વર્ષે કોરોનાના કેસને જોતા રથયાત્રા કેન્સલ કરી દેવામાં આવી. વડોદરામાં કેસોની સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે. ત્યારે ગણેશ મહોત્સવનું આયોજન થશે કે નહીં તે વિશે ઓર્ગેનાઈઝર્સ પણ અવઢવમાં છે.

મૂર્તિકાર અશોક અજમેરી કહે છે, ‘મોટાના ભાગના મૂર્તિકારો માર્ચથી જ પોતાનું કામ શરૂ કરી દેતા હોય છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે કોઈએ હજુ વર્કશોપ ખોલી નથી. હવે બધું ખુલી ગયું છે, પરંતુ ગણેશ મહોત્વસનું આયોજન થશે કે નહીં તેના પર કોઈ સ્પષ્ટતા નથી.’ અશોક અજમેરી દરવર્ષે ગ્રાહકોની ડિમાન્ડના આધારે 50થી 60 મૂર્તિઓ બનાવતા હતા.

તેઓ વધુમાં કહે છે, અનલોક બાદથી લોકોએ પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે, પરંતુ કોઈએ ઓર્ડર આપવાનું નક્કી કર્યું નથી. આથી હું ઘરમાં સ્થાપિત કરી શકાય તેવી નાની મૂર્તિઓ બનાવું છું.

અન્ય એક મૂર્તિકાર ધનશ્યામ કહર કહે છે, ‘દરવર્ષે અત્યાર સુધીમાં મેં ઓર્ડર બુકિંગનું 30 ટકા જેટલું કામ ખતમ કરી લીધું હોય છે. પરંતુ વર્ષે મેં મારું કામ પાછલા અઠવાડિયે જ શરૂ કર્યું છે અને તે પણ નાની મૂર્તિઓ બનાવીને.’ તેમનો સમગ્ર પરિવાર મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જોડાયેલો છે.

અજમેરી અને કહર જેવા મૂર્તિકારો પાસે આ વર્ષે કોઈ ઓર્ડર નથી ત્યારે અન્ય એક મૂર્તિકારને એડવાન્સ ઓર્ડર મળવાનું શરૂ થઈ ગયું છે. રાજેન્દ્ર ભોઈર જેઓ ત્રીજી પેઢીના મૂર્તિકાર છે તેમને આ વર્ષે એડવાન્સમાં જ ઓર્ડર મળી ગયા છે. તેઓ પોતાની પત્ની અલકા સાથે મળીને દરવર્ષે 1.5 ફૂટ ઊંચી માટીની 300 મૂર્તિઓ બનાવે છે. જે ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે.

63 વર્ષના ભોઈર કહે છે, દરવર્ષે મારા ગ્રાહકો મહોત્સવના એક મહિના પહેલા ઓર્ડર બુક કરાવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે મૂર્તિઓની અછત સર્જાશે તેવા ડરથી ઓર્ડર વહેલા આવી રહ્યા છે. તેઓ કહે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન મુશ્કેલ હોવાથી લોકો ઘરમાં જ મૂર્તિ સ્થાપિત કરીને તેનું વિસર્જન કરવા પ્રેરિત થશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3es8aMF

No comments:

Post a Comment

Pages