Latest

Thursday, June 18, 2020

અ’વાદ: ખાનગી સ્કૂલોએ વાલીઓને આપી રાહત, ફી ભરવા અંગે લેવામાં આવ્યો આ નિર્ણય

ભરત યાજ્ઞિક, અમદાવાદ: કોરોના વાયરસ મહામારીના કારણે છેલ્લા ત્રણ મહિનામાં જે વાલીઓ આર્થિક સંકડાશમાં મૂકાયા છે તેમના માટે થોડા રાહતના સમાચાર છે. રાજ્ય સરકાર પાસેથી આર્થિક રાહત મેળવવાની વાલીઓની માગણી હજી સંતોષાઈ નથી પરંતુ સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલોએ ચિંતાતુર પેરેન્ટ્સને થોડી ઢીલ આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

5500 સ્કૂલોનું પ્રતિનિધિત્વ કરતાં ગુજરાત રાજ્ય સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશન તમામ સભ્યોને પત્ર લખીને ફીમાં રાહત આપવાની જાણ કરી છે. કોરોના વાયરસ મહામારીના કારણે અર્થતંત્રને નુકસાન થયું છે. એવામાં જે વાલીઓએ નોકરી ગુમાવી હોય, પગાર કપાયો હોય અથવા તો ધંધામાં આર્થિક નુકસાન થયું હોય તેમને રાહત અપાઈ છે. અસોસિએશનના પ્રમુખ ભરત ગાજીપુરાએ કહ્યું, “કોરોના વાયરસ મહામારીના કારણે આર્થિક ભીંસમાં મૂકાયેલા વાલીઓ પાસેથી લેખિત અરજી લેવાની સૂચના શાળાઓને આપી હતી. વાલીઓ પોતાની આર્થિક સ્થિતિની લેખિતમાં જાણકારી આપીને ફીમાંથી રાહત મેળવી શકે છે.”

સ્કૂલ મેનેજમેન્ટ બાદમાં આ વાલીઓને ફોન કરીને સહમતિથી શૈક્ષણિક વર્ષ 2020-21ની ટ્યૂશન ફી ભરવા અંગે નિર્ણય કરશે. “સ્કૂલના ટ્રસ્ટી દરેક કેસની ગંભીરતા જોતાં નક્કી કરશે કે તેમને ફી ભરવામાં ત્રણ મહિનાની સવલત આપવી કે 10-25 ટકા કન્સેશન આપવું”, તેમ ગાજીપુરાએ જણાવ્યું. આવા કપરા સમયમાં સ્કૂલો અને વાલીઓએ સામસામે બેસીને રસ્તો કાઢવો જોઈએ, તેમ પણ કહ્યું.

અમદાવાદ સ્કૂલ્સ પ્રોગ્રેસિવ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ અર્ચિત ભટ્ટે કહ્યું, “અસોસિએશનને એવું પણ કહ્યું છે કે તેઓ ફી ભરવા માટે વધુ સમય પણ આપી શકે છે. 50 ટકાથી વધુ વાલીઓને હજી જૂન મહિનાની ફી ભરવાની બાકી છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો શિક્ષકોના પગાર પર અસર થઈ શકે છે.” એશિયા સ્કૂલના મેનેજમેન્ટ ટ્રસ્ટીએ કહ્યું, ‘અમે વાલીઓને જાણ કરી દીધી છે કે ફી સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેઓ સ્કૂલનો સંપર્ક કરી શકે છે. અમે વાલીઓને હપ્તેથી ફી ચૂકવવાની સગવડ પણ આપી શકીએ છીએ.’

ઉદ્ગમ સ્કૂલના ટ્રસ્ટી મનન ચોકસીએ કહ્યું, “લગભગ 70 ટકા વાલીઓએ સ્કૂલોની ફી ભરી દીધી છે. તેમાંથી 300 જેટલા વાલીઓ એવા છે જેમણે આખા વર્ષની ફી ભરી દીધી છે. કોવિડ-19 મહામારીના કારણે આર્થિક ભીંસમાં મૂકાયેલા વાલીઓને અમારું અસોસિએશન તમામ સહકાર આપવા માટે તૈયાર છે. બાકીની વિગતો અંગે વાલીઓ અને સ્કૂલો વચ્ચે સંમતિથી ચર્ચા કરીને નિર્ણય લેવાશે.”

હાલમાં જ શહેરના કોટ વિસ્તારમાં આવેલી જે. પી. હાઈસ્કૂલે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને એપ્રિલ 2020થી ઓક્ટોબર 2020 સુધીની માસિક ફીમાં માફી આપી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3fx872c

No comments:

Post a Comment

Pages