Latest

Tuesday, July 21, 2020

સી.આર. પાટીલઃ પોલીસ, વિવાદ અને જેલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની આવી છે કહાણી

નિકુંજ સોની, અમદાવાદઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પદ માટે નવસારીના સંસાદ સી.આર. પાટીલનું નામ આવતા જ ગુજરાત ભાજપના નેતાઓ જ નહીં રાજ્યમાં રાજકરણ સાથે નિસ્બત ધરાવતા અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. સી. આર. પાટીલનો ઇતિહાસ જ કંઈક એવો છે. કરોડોની લોન લીધા બાદ દેવાળું ફૂંકવા સબબ તેમને જેલમાં પણ રહેવું પ્યું હતું. 2009માં નવસારીથી સાંસદની ચૂંટણીમાં ઉતર્યા પહેલા તેમની સામે અનેક કેસ પોલીસ ચોપડે બોલતા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જે પૈકી ડાયમંડ જ્યુબેલી કો. ઓ. બેંક પાસેથી રુ. 58 કરોડની માતબર લોન લીધા બાદ મુદ્દલ અને વ્યાજ ન ચૂકવવાના કારણે વર્ષ 2002માં આ બેંકનું દેવાળું ફુંકાયું હતું. આ બેંકને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ક્લિયરિંગ હાઉસ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જે બાદ આ કેસમાં હોબાળો મચતા તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. જોકે બેંકની પાઈ પાઈ પોતે પરત કરી દેશે તેવી બાહેંધરી આપતા ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને શરતી જામીન મળ્યા હતા.

2014માં નવસારીથી લોકસભા ચૂંટણીમાં માટે ઉમેદવારી ફોર્મ ભરતા સમયે પાટીલ દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં જણાવ્યા મુજબ બેંકના ડિપોઝિટર્સ દ્વારા તેમની સામે 100 જેટલા રિકવરી કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે તમામનું વન ટાઇમ સેટલમેન્ટ સ્કિમ હેઠળ સમાધાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચેક રિટર્નના પણ તેમની સામે કેટલાક કેસ નોંધાયેલા છે. પોતાની અભિષેક ઇન્ફ્રા પ્રા. લિ. કંપની મારફત પાટીલે ડાયમંડ કો. ઓ. બેંક પાસેથી સુરતના સચીન વિસ્તારમાં મજૂરો માટે ટાઉનશિપના નિર્માણ હેતુથી મસમોટી લોન લીધી હતી.

આ લોનની રકમ દ્વારા તેમની કંપનીએ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન(GIDC) પાસેથી જમીન પણ ખરીદી હતી. જેના માટે પણ કથિત રીતે તેમણે પૂરી રકમની જગ્યાએ કેટલાક હપ્તા જ ભર્યા હતા. જોકે પાછળથી આ પ્રોજેક્ટ સફળ ન થયો અને 2008માં આ લોનની રકમ વ્યાજ સાથે રુ. 98 કરોડ થઈ ગઈ હતી. જેને ચૂકવવા માટે તેમની સંપત્તિ વેચવા માટે કહેવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે રાજકરણમાં આવ્યા પહેલા સી.આર. પાટીલ ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન 1970ના દાયકામાં એક બુટલેગર સાથે સાંઠગાંઠમાં તેમનું નામ આવતા સર્વિસમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે તરત જ નોકરી છોડી દીધી હતી અને પછી પોલીસ જવાનોનું યુનિયન બનાવવા માટે તેમણે અનેક અસફળ પ્રયાસ કર્યા હતા.

પાટીલ દ્વારા 2019ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા સમયે કરવામાં આવેલ એફિડેવિટમાં કહેવાયું છે કે તેમની સામે વિશ્વાસનો ગુનાહિત ભંગ કરવાનો કેસ પણ નોંધાયો છે. આ કેસ સુરતના લિંબાયતમાં 2006માં તેમના દ્વારા લોંચ કરવામાં આવેલ પાટીલ એસ્ટેટમાં વાયદા મુજબ ફ્લેટ ન આપવા બાબતે છે. જોકે પોલીસે તપાસમાં જાહેર કર્યું હતું કે તેમની સામે કરવામાં આવેલ આરોપ અંગે કોઈ ઠોસ પુરાવો તેમને મળ્યો નથી.

વર્ષ 2009માં લોકસભા ચૂંટણી લડતા પહેલા તેમણે કરેલા એફિડેવિટમાં પાટીલે પોતાની વિરુદ્ધ 7 કેસ હોવાની માહિતી આપી હતી. જેમાં 2002નો લોન ડિફોલ્ટિંગ કેસ ઉપરાંત, લિંબાયત કેસની માહિતી સાથે નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ બીજા પાંચ કેસ હોવા અંગે તેમણે જણાવ્યું હતું. જ્યારે આ કેસ અંગે અમારા સહયોગી અમદાવાદ મિરરે પાટીલનો અભિપ્રાય પૂછ્યો તો તેમણે કહ્યું કે ‘આ તમામ કેસ વ્યાજ સહિત ભરવાપાત્ર દરેક રકમ ભરીને તેમણે સમાધાન કરી લીધું છે.’



from Page Array – I Am Gujarat https://ift.tt/3eJQR97

No comments:

Post a Comment

Pages