ભારત હંમેશા જ્ઞાન અને વિજ્ઞાનની ભૂમિ રહ્યું છે. શૂન્યની શોધથી લઈને મંગળ સુધી પહોંચવાની સફરમાં ભારતીય
મગજે દુનિયાને અનેકવાર આશ્ચર્યચકિત કરી છે. આજે જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે એની પાછળનું મુખ્ય ચાલક બળ ‘વિજ્ઞાન’ છે.
ભારતમાં એવા અનેક પ્રયોગો થયા છે, જેણે માત્ર પ્રયોગશાળાની દિવાલો જ નહીં, પણ કરોડો ભારતીયોનું નસીબ અને વિશ્વની દ્રષ્ટિ બદલી નાખી છે. ત્યારે વાત કરીએ દેશના શ્રેષ્ઠ પાંચ પ્રયોગો વિશે…
શા માટે ઉજવાય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ?

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની પસંદગી પાછળ એક ઐતિહાસિક કારણ છે. 28 ફેબ્રુઆરી, 1928 એ ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન એ ‘રમન ઇફેક્ટ’ની શોધ કરી હતી. આ ક્રાંતિકારી શોધ બદલ એમને 1930માં વિજ્ઞાનનું પ્રથમ નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. દેશમાં વૈજ્ઞાનિક અભિગમ વધારવા માટે, ‘નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન’ની ભલામણ પર ભારત સરકારે 1987થી આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
દેશના શ્રેષ્ઠ પાંચ પ્રયોગો
રમન ઈફેક્ટ

1921માં જ્યારે સી.વી. રમન લંડનથી ભારત પાછા ફરી રહ્યા હતા, ત્યારે એમને સમુદ્રના પાણીનો ઘેરો વાદળી રંગ જોઈને કુતૂહલ થયું કે આવું કેમ? એ સમયે માનવામાં આવતું હતું કે સમુદ્ર આકાશનું પ્રતિબિંબ છે, પણ રમને આ વાત સ્વીકારી નહીં. 1928માં કોલકાતાની લેબમાં એમણે સાબિત કર્યું કે જ્યારે પ્રકાશ કોઈ પારદર્શક પદાર્થ જેમ કે પાણી કે કાચ માંથી પસાર થાય છે, ત્યારે એનો અમુક ભાગ વિખેરાય છે અને એની તરંગલંબાઈ બદલાય છે. આ શોધ ‘રમન ઈફેક્ટ’ તરીકે ઓળખાઈ. આ પ્રયોગે ભારતને વિજ્ઞાન ક્ષેત્રે જગતગુરુ બનાવ્યું અને આજે એનો ઉપયોગ એરપોર્ટ પર વિસ્ફોટકો શોધવા માટેના સ્કેનર્સ, દવાઓની ગુણવત્તા તપાસવા તેમજ કેન્સરના કોષોને ઓળખવા માટે થાય છે.
વનસ્પતિની સંવેદના

20મી સદીની શરૂઆતમાં એવી માન્યતા હતી કે વનસ્પતિ માત્ર નિર્જીવ વસ્તુની જેમ વધે છે, પણ જગદીશ ચંદ્ર બોઝે આ માન્યતાને જડમૂળથી ઉખેડી નાખી. એમણે ‘ક્રેસ્કોગ્રાફ’ નામનું અત્યંત સંવેદનશીલ સાધન બનાવ્યું, જે વનસ્પતિની વૃદ્ધિમાં થતા સૂક્ષ્મ ફેરફારોને લાખો ગણા મોટા કરીને બતાવી શકતું હતું. 1901માં લંડનની રોયલ સોસાયટીમાં એમણે પ્રયોગ દ્વારા બતાવ્યું કે ઝેર આપવાથી કે ઈજા થવાથી વનસ્પતિ પણ મનુષ્યની જેમ જ તરફડે છે અને સંગીત સાંભળીને ખીલે છે. આ પ્રયોગે કૃષિ વિજ્ઞાનમાં ક્રાંતિ લાવી અને પાકને કેવી રીતે વધુ તંદુરસ્ત બનાવી શકાય એ સમજવામાં વિશ્વને મદદ કરી.
બોઝ-આઈન્સ્ટાઈન થીયરી

1924માં સત્યેન્દ્ર નાથ બોઝે ક્વોન્ટમ ફિઝિક્સમાં એક એવી સમસ્યા ઉકેલી જે એ સમયના મોટા વૈજ્ઞાનિકો નહોતા ઉકેલી શક્યા. એમણે અણુના કણોના વર્તનને સમજવા માટે આંકડાશાસ્ત્રનો નવો નિયમ આપ્યો. જ્યારે આ થીયરી આઈન્સ્ટાઈન પાસે પહોંચી, ત્યારે તેઓ એટલા પ્રભાવિત થયા કે એમણે આને ‘બોઝ-આઈન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ’ નામ આપ્યું. આ પ્રયોગ અને થીયરીને કારણે જ ‘બોઝોન’ કણોની શોધ થઈ. આજે આપણે જેને ‘God Particle’ (હિગ્સ બોઝોન) કહીએ છીએ, એના મૂળમાં આ ભારતીય વૈજ્ઞાનિકનો ગણિતનો પ્રયોગ જ રહેલો છે, જે આધુનિક કમ્પ્યુટર ચિપ્સ અને સુપરકન્ડક્ટર્સના સંશોધનમાં પાયારૂપ છે.
કોસ્મિક રે સંશોધન

1930 અને 40ના દાયકામાં જ્યારે દુનિયા યુદ્ધોમાં વ્યસ્ત હતી, ત્યારે હોમી જહાંગીર ભાભા અંતરિક્ષમાંથી આવતા રહસ્યમય ‘કોસ્મિક કિરણો’ પર પ્રયોગો કરી રહ્યા હતા. એમણે સાબિત કર્યું કે આ કિરણો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે એ વિખેરાઈને નવા કણો પેદા કરે છે, જેને ‘ભાભા સ્કેટરિંગ’ કહેવામાં આવે છે. બેંગલુરુની IISC (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ) અને મુંબઈની TIFR (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ) માં થયેલા આ પ્રયોગોએ ભારતને સમજાવ્યું કે અણુશક્તિમાં કેટલી તાકાત છે. આ જ પ્રયોગોના ફળસ્વરૂપે ભારત આજે પરમાણુ સંપન્ન દેશ છે અને આપણી પાસે સસ્તી વીજળી તેમજ ખેતી અને મેડિકલ ક્ષેત્રે આધુનિક રેડિયેશન ટેકનોલોજી ઉપલબ્ધ છે.
મૂન મિનરોલોજી મેપર

2008માં ભારતે જ્યારે ચંદ્રયાન-1 લોન્ચ કર્યું, ત્યારે એનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટીનું મેપિંગ કરવાનો હતો. આ મિશનમાં ઈસરોએ એક ખાસ પ્રયોગ કર્યો જેનું નામ હતું ‘મૂન મિનરોલોજી મેપર’. આ પ્રયોગ દ્વારા ભારતે દુનિયાને એવા ડેટા આપ્યા જે અમેરિકાની NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) પણ નહોતી મેળવી શકી. ભારતે પહેલીવાર વૈજ્ઞાનિક પુરાવા સાથે સાબિત કર્યું કે ચંદ્રની સપાટી પર અને એની નીચે હાઈડ્રોક્સિલ એટલે કે પાણીના અણુઓ હાજર છે. આ પ્રયોગે માનવજાત માટે ભવિષ્યમાં ચંદ્ર પર વસવાટ કરવાની આશા જન્માવી. સાથે જ ભારતને સ્પેસ ટેકનોલોજીમાં અજેય બનાવ્યુ.
હેતલ રાવ
from chitralekha https://ift.tt/FCpmSNs
via
No comments:
Post a Comment