Latest

Thursday, February 5, 2026

અદશ્યને જોશો તો અશક્ય કરી શકશો…

એનું નામ બૉબ રિચર્ડ્સ. બૉબ રિચર્ડ્સે પોતાના પુસ્તક ‘હાર્ટ ઑફ અ ચૅમ્પિયન’માં ઑલિમ્પિક્સ ચૅમ્પિયન ચાર્લી પેડોકની વાત લખી છે. અમેરિકન એથ્લીટ ચાર્લી પેડોકનો જન્મ 1900માં થયો અને અવસાન 1943માં. 43 વર્ષના અલ્પાયુમાં ચાર્લી બબ્બે વાર ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બન્યો.

એક વાર અમેરિકાના ક્લિવલૅન્ડમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં ચાર્લીએ કહ્યું હતું, “જો તમે ધારો કે મારે આ કરવું જ છે, તો તમે કરી જ શકો. જો તમે દૃઢતાથી કોઈ લક્ષ્ય નક્કી કરો, તો તે તમારા જીવનમાં સિદ્ધ થાય જ.” સંબોધનના અંતે તેણે કહ્યું, “એવું પણ બની શકે કે કદાચ અત્યારે આપણી વચ્ચે ભવિષ્યનો કોઈ ઑલિમ્પિક્સ ચૅમ્પિયન પણ બેઠો હોય.” પ્રવચન આપીને ચાર્લી સભાખંડની બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને મળવા એક દુબળો-પાતળો બાળક આવ્યો. એ ઉત્સાહથી બોલ્યો, “મિસ્ટર પેડોક, હું પણ તમારા જેવો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બનવા માગું છું અને તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.”

ચાર્લી પેડોકનું પ્રવચન સાંભળીને એ બાળકના રોમરોમમાં ઊર્જાનો સંચાર થયો હતો. એને દિશા મળી ગઈ અને એનું જીવન બદલાઈ ગયું. 1936માં તેણે બર્લિન ઑલિમ્પિક્સની ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ઇવેન્ટમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા. તેનું નામ હતું — જેસી ઓવન્સ.

જેસી ઓવન્સના વિજય સરઘસ દરમિયાન ભીડને ચીરતો એક બાળક તેની પાસે આવ્યો અને કહ્યું, “મિસ્ટર ઓવન્સ, હું પણ તમારા જેવો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બનવા માગું છું અને તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.”

ઓવન્સે કહ્યું, “બેટા, હું તારાથી સહેજ મોટો હતો ત્યારે હું પણ આવી જ અદમ્ય ઇચ્છા રાખતો હતો. જો તું મહેનત કરીશ અને ધારીશ, તો એક દિવસ જરૂર તારા લક્ષ્યને વીંધી શકીશ.” બાર વર્ષ પછી લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં છ દોડવીરો 100 મીટરની દોડ માટે મેદાનમાં ઊતર્યા… અને જે દોડવીર જીત્યો, તે બીજો કોઈ નહીં — વિજય સરઘસમાં જેસી ઓવન્સ પાસેથી પ્રેરણા લેનાર પેલો બાળક જ હતો. તેનું નામ: હૅરિસન બોન્સ ડિલેર્ડ.

આજની પેઢીની એક મોટી સમસ્યા એ છે કે તેને અવારનવાર કંટાળો આવે છે. “યાર, હું બોર થાઉં છું” — આવું વાક્ય યુવાનોના મોઢે અવારનવાર સાંભળવા મળે છે. તેમને કંઈ કરવાનું સૂઝતું નથી. એક ઓટીટી પ્લેટફોર્મ પરથી બીજા પર કૂદાકૂદ કરવી, મોબાઇલ મચડ્યા કરવું, રીલ્સ જોવી કે રીલ્સ બનાવવી. ટૂંકમાં, નિરર્થક પ્રવૃત્તિઓમાં સમય વેડફવો એ સામાન્ય બની ગયું છે. એનું કારણ એ છે કે તેમને પોતાના જીવનનો ઉદ્દેશ જ ખબર નથી. માત્ર જીવન-ઉદ્દેશ (લાઇફ ગોલ)ની કમીના કારણે આજે માણસ પાસે બધું હોવા છતાં પણ તે જીવનમાં આગળ વધી શકતો નથી.

તેથી જ કોઈએ લખ્યું છે — “Only those who can see the invisible can do the impossible.”
અર્થાત્, જે અદૃશ્ય જોઈ શકે છે, તે અશક્યને શક્ય બનાવી શકે છે.

કુદરતી બક્ષિસ, સ્રોતો કે માણસમાં ધરબાયેલી પ્રતિભામાં કોઈ ખામી નથી, જે તેને સુખી, સમૃદ્ધ અને સફળ થવાથી અટકાવે. ઘણી વખત ખોટા અને નકારાત્મક વિચારો તેને સર્વોચ્ચ સિદ્ધિથી વંચિત રાખે છે. એવા નકારાત્મક વિચારોને દૂર કરવાનો અને આપણી સુષુપ્ત ક્ષમતાને વિસ્તારવાનો મુખ્ય રસ્તો છે — જીવન-ઉદ્દેશનો નિર્ણય.

તમારા જીવનનો ઉદ્દેશ શું છે? જીવનમાં તમે શું કરવા માગો છો? અથવા ભવિષ્યમાં અમુક સમયે તમે ક્યાં જોવા માંગો છો? તેનું સ્પષ્ટ ચિત્ર બનાવો. સંકલ્પનું ચિત્ર જેટલું સ્પષ્ટ, તેટલું તેનું કાર્ય સહેલું અને ઝડપી બને છે. દુનિયામાં જેમણે મહાન ઇતિહાસ રચ્યો છે, તેનું એક મુખ્ય કારણ એ છે કે તેમના પાસે જીવનનો એક સ્પષ્ટ ઉદ્દેશ હતો.

આપણને જીવન-ઉદ્દેશની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. તે પસંદગીને સાકાર કરવા જેટલો પ્રયત્ન કરીશું અને આપણી સંપૂર્ણ તાકાતને ભવિષ્ય માટે કામે લગાડીશું, તેટલું આપણે આપણા તેમ જ આપણી આસપાસના લોકો માટે એ ભાવિનું નિર્માણ કરીએ છીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)



from chitralekha https://ift.tt/VatbeFT
via

No comments:

Post a Comment

Pages