નવી દિલ્હીઃ તમામ પડકારો વચ્ચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ફરી એક વાર સત્તા મેળવવા માટે પ્રયત્નશીલ છે. ચૂંટણીપ્રચાર દરમિયાન પાર્ટી પોતાના કાર્ય પ્રદર્શનના આધાર પર સત્તામાં વાપસીનો દાવો કરી રહી છે, પરંતુ ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસ તથા હુમાયુ કબીર–AIMIM ગઠબંધનના પ્રવેશથી TMCને મત નુકસાનની ચિંતા સતાવી રહી છે.
રાજકીય જાણકારોના મતે હાલ પણ TMCનો પક્ષ મજબૂત રહેવાની શક્યતા છે. કારણ કે ભાજપ સિવાય અન્ય તમામ પક્ષો અથવા ગઠબંધનોના ઉમેદવારો ચૂંટણીમાં ઊતરવાથી તૃણમૂલ કોંગ્રેસને મતનું નુકસાન તો થઈ શકે, પરંતુ તેનો ભાજપને ખાસ ફાયદો મળશે તેવી સંભાવના ઓછી માનવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલે મતદાન થશે. TMCનો મુખ્ય મુકાબલો ભાજપ સાથે છે. બંને પક્ષોએ તમામ વર્ગોને પોતાના પક્ષે આકર્ષવા માટે કોઈ કસર છોડી નથી. કોંગ્રેસે તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ રાજકીય સમીકરણોમાં વધુ ફેરફાર થવાની અટકળો ચાલી રહી છે.

કોંગ્રેસ અને AIMIM–હુમાયુ કબીર ગઠબંધનને કેટલીક બેઠકો પર મતલાભ મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસ બેરોજગારી, મોંઘવારી અને વિકાસ જેવા મુદ્દાઓના આધાર પર ચૂંટણી મેદાનમાં ઊતરી રહી છે, જેને પશ્ચિમ બંગાળમાં પાર્ટીની હાજરી દર્શાવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.
રાજકીય વિશ્લેષક પી. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે ભાજપે મમતા બેનર્જી સરકારના 15 વર્ષના શાસન વિરુદ્ધ જે ‘ચાર્જશીટ’ જાહેર કરી છે, તેમાં ઘૂસણખોરી, મહિલાઓની સુરક્ષા અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દા બનાવવામાં આવ્યા છે, પરંતુ તેનો મોટો પ્રભાવ પડશે તેવી શક્યતા ઓછી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના મતદાતાઓ ધ્રુવીકરણ અને ઘૃણાભર્યાં ભાષણોને ખાસ મહત્વ આપતા નથી, તેથી તેઓ અન્ય પક્ષોની તરફેણ કરી શકે છે.
તૃણમૂલ કોંગ્રેસે છેલ્લા સમયમાં પોતાના વિરુદ્ધ ઊભી થયેલી સત્તા વિરોધી લહેરને ઘટાડવા માટે પોતાના અગાઉનાં કામો અને પ્રચાર દ્વારા મતદાતાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને પરિણામે સત્તાવિરોધી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થતી દેખાઈ રહી છે. જોકે હુમાયુ કબીર અને કોંગ્રેસના ચૂંટણીમાં ઊતરવાથી તૃણમૂલ કોંગ્રેસને મતનું નુકસાન થવાની શક્યતા છે.
from chitralekha https://ift.tt/2G7m0ZH
via
No comments:
Post a Comment