મુંબઈ: જેટ એરવેઝની નાણાકીય મુશ્કેલીને કારણે ઇન્ટરગ્લોબ એવિયેશન અને સ્પાઇસજેટને પરોક્ષ લાભ થઈ રહ્યો છે. જેટ એરવેઝ તેની ઉડ્ડયન કામગીરીને થોડા સમય માટે બંધ કરી શકે તેવા અહેવાલને પગલે કંપનીના શેરમાં આશરે આઠ ટકાનો કડાકો બોલાયો હતો. જોકે સ્પાઇસજેટ અને ઇન્ડિગોના શેરોમાં ઉછાળો આવ્યો હતો.
બીએસઇમાં મંગળવારે જેટ એરવેઝના શેરનો ભાવ 7.62 ટકા ગબડીને ₹241.85એ બંધ આવ્યો હતો. શેર ઇન્ટ્રા-ડે 18.56 ટકા ગબડીને ₹213.20ના નીચા સ્તરે પટકાયો હતો. વોલ્યુમના મોરચે જોઈએ તો બીએસઇમાં જેટ એરવેઝના 48.67 લાખ શેર અને એનએસઇમાં આશરે પાંચ કરોડ શેરોનું વોલ્યુમ નોંધાયું હતું. કંપનીનું માર્કેટ-કેપ ₹225.65 કરોડ ઘટીને ₹2,747.35 કરોડ થયું હતું.
કંપની હંગામી ધોરણે તેની કામગીરી બંધ કરી શકે છે તેવા અહેવાલ અંગે બીએસઇએ કંપની પાસેથી સ્પષ્ટતા માગી હતી. જેટ એરવેઝ તીવ્ર નાણાભીડનો સામનો કરી રહી છે અને હાલમાં માત્ર 10 વિમાનથી સર્વિસ ઓફર કરી રહી છે. તેને થોડા સમય માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ બંધ કરી છે. જેટ એરવેઝના સીઇઓ સોમવારે જણાવ્યું હતું કે લેણદારો ઇમર્જન્સી ફંડિગ માટે કોઈ નિર્ણય કરી શક્યા નથી.
જેટ એરવેઝની મુશ્કેલીને કારણે સ્પાઇસજેટને લાભ થઈ રહ્યો છે. સ્પાઇસજેટના શેરમાં સતત ચોથા સેશનમાં તેજી આવી હતી. સ્પાઇસજેટના શેરનો ભાવ બીએસઇમાં 11.19 ટકા ઊછળીને ₹132.70એ બંધ આવ્યો હતો. શેર ઇન્ટ્રા-ડે 13.78 ટકા ઊછળીને ₹135.80ના ઊંચા સ્તરે સ્પર્શ્યો હતો. વોલ્યુમના મોરચે જોઈએ તો બીએસઇમાં કંપનીના 229.15 લાખ શેરોમાં ટ્રેડિંગ થયું હતું. છેલ્લાં ચાર ટ્રેડિંગ સેશનમાં સ્પાઇસજેટના શેરમાં આશરે 40.49 ટકાનો ઉછાળો આવ્યો છે. અગાઉ સ્પાઇસજેટે સાત ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે સીધી ફ્લાઇટની જાહેરાત કરતાં તેના શેરમાં સોમવારે નવ ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીએ મુંબઈથી કોલંબો, જેદ્દાહ, ઢાકા, રિયાધ અને હોંગકોંગ સહિતનાં શહેરો માટે સીધી ફ્લાઇટની જાહેરાત કરી હતી.
ઇન્ટરગ્લોબના શેરને પણ પોઝિટિવ અસર થઈ રહી છે. ઇન્ડિગોનો શેર બીએસઇમાં 7.35 ટકા ઊછળીને 1,583.15ના સ્તરે બંધ આવ્યો હતો. કંપનીનો શેર ઇન્ટ્રા-ડે 1,610ના બાવન સપ્તાહના નવા ઊંચા સ્તરે સ્પર્શ્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2IwPDSi
No comments:
Post a Comment