નવી દિલ્હી:કર્ણાટકમાં 14 સહિત લોકસભાની 97 બેઠકો માટે બીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ મંગળવારે સાંજે શાંત થઈ ગયા હતા. આ તમામ બેઠકો પર 1,644 ઉમેદવારો મેદાનમાં છે અને ગુરુવારે મતદાન થશે.
ચૂંટણી પંચે મંગળવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ તબક્કામાં સાત રાજ્યોમાં 59 સીટો પર 12 મેએ મતદાન થશે. બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 97 બેઠકો પર 18મીએ મતદાન થવાના છે. જેમાં તામિલનાડુની તમામ 39 બેઠકો અને કર્ણાટકમાં 28માંથી 14 બેઠકોનો સમાવેશ થાય છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની આઠ બેઠકોને પણ આ તબક્કામાં આવરી લેવાયા છે.
આ તબક્કામાં જે મહત્ત્વના ઉમેદવારો મેદાનમાં છે તેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવેગૌડા, તેમના પ્રપોત્ર નિખિલ કુમારસ્વામી, કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી કે એચ મુનિયપ્પા અને કોંગ્રેસના સિનિયર નેતા બી કે હરિપ્રસાદ, દયાનિધિ મારન, કનિમોઝી, કાર્તિ ચિદમ્બરમ્, એ રાજા અને જિતેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્વાણ, ભાજપનાં હેમા માલિની, પીએમકે અંબુમણિ રામદોસ અને તારિક અનવર જેવા અન્ય મહત્ત્વના ઉમેદવારો મેદાનમાં છે.
દરમિયાન, કેરળમાં ચૂંટણીપ્રચાર દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે પીએમ મોદીએ છેલ્લાં પાંચ વર્ષમાં પોતાના કોઈ વચનો પૂરાં કર્યાં નથી. આ સાથે તેમણે કહ્યું હતું કે અત્યારે દેશ પર ભાજપ અને આરએસએસનો હુમલો થયો છે, જેઓ બીજાના તમામ અવાજ દાબી દેવાનો પ્રયાસ કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું, “મોદીએ તમને જે વચનો આપ્યાં હતાં એ પૂરાં કર્યાં નથી પરંતુ તેમણે અનિલ અંબાણીને ₹30,000 કરોડનો લાભ રફાલ સોદામાં આપ્યો છે. મોદી રાષ્ટ્રવાદની વાત કરે છે અને તેમણે સૌથી મોટી ડિફેન્સ ડીલ એવી વ્યક્તિને આપી છે કે જેણે એક પણ વિમાન બનાવ્યું નથી.”
from Page Array – I Am Gujarat http://bit.ly/2GrnmLt
No comments:
Post a Comment