Latest

Friday, April 5, 2019

જેટ એરવેઝ પાયમાલ અને હરીફો માલામાલ



68733739

અનિર્બાન ચૌધુરી

મુંબઈ:ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ જેટ એરવેઝ દ્વારા વણવપરાયેલા મહત્ત્વના ફ્લાઇટ સ્લોટ અન્ય એરલાઇન્સને ફાળવવાનું શરૂ કર્યું છે. તેના કારણે આગામી પિક સીઝનમાં હરીફ એરલાઇન્સને જોરદાર ફાયદો થવાનો છે.

16 એપ્રિલથી 15 જુલાઈ વચ્ચેની ફ્લાઇટ્સને સ્લોટ ફાળવાઈ રહ્યા છે જેમાં ઉનાળાની પિક સીઝન સમાવી લેવાય છે. આ ગાળામાં પર્યટન માટે ટ્રાવેલની સૌથી વધારે માંગ હોય છે. છેલ્લા એક સપ્તાહથી વિવિધ એરલાઇન્સે ઉડ્ડયન રેગ્યુલેટર અને એરપોર્ટ્સ સાથે વાતચીત શરૂ કરી છે. નાણાકીય રીતે સંકટમાં મુકાયેલી જેટે તેનાં 75 ટકાથી વધુ વિમાન ભૂમિગત કર્યાં છે જેના કારણે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે 10 લાખથી વધુ સીટનું ગાબડું પડ્યું છે.

ડીજીસીએના સંકલન હેઠળ મુંબઈ એરપોર્ટે સ્થાનિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના લગભગ 40 ડિપાર્ચર સ્લોટ ઇન્ડિગો, સ્પાઇસજેટ, એર એશિયા ઇન્ડિયા અને વિસ્તારાને ફાળવ્યા છે. દિલ્હીમાં સ્લોટ્સ ફાળવવા અંગે વાતચીત ચાલુ છે. આ બે એરપોર્ટ પર કુલ મળીને 80 વણવપરાયેલા સ્લોટની જોડી ફાળવવાની છે. જેટનાં વિમાનોની સંખ્યા ઘટવાના કારણે દેશભરમાં કુલ 400 જેટલા ડિપાર્ચર સ્લોટ ખાલી પડ્યા છે.

દેશના બીજા ક્રમના સૌથી વ્યસ્ત એરપોર્ટ મુંબઈમાં સ્લોટ્સ મેળવવા લગભગ અશક્ય છે અને અત્યંત આકર્ષક માનવામાં આવે છે. દિલ્હી એ ભારતમાં સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે અને તેના સ્લોટ મેળવવા પણ મુશ્કેલ હોય છે. દિલ્હી-મુંબઈ એ દેશમાં સૌથી વ્યસ્ત રૂટ છે.

સ્લોટની ફાળવણી કામચલાઉ છે. એટલે કે જેટના વિમાન ઉડાન માટે તૈયાર થાય તો તેને સ્લોટ પરત મળી શકે છે. જેટે ડીજીસીએને એક મહિનાનો શિડ્યુલ સોંપ્યો છે જે મુજબ તેની પાસે એપ્રિલના અંત સુધી ઉડાવવા માટે ૩૫ વિમાન છે. અત્યંત વ્યસ્ત સીઝનમાં સ્લોટ ગુમાવવાના કારણે જેટ એરવેઝને જંગી રોકડ આવક ગુમાવવી પડશે જેની તેને અત્યારે ખાસ જરૂર છે.

ગુરુવારે વિસ્તારાએ જાહેરાત કરી હતી કે તે મુંબઈ અને બેંગલુરુ વચ્ચે પાંચ નવી ફ્લાઇટ શરૂ કરશે અને મુંબઈથી હૈદરાબાદ અને કોલકાતાની એક-એક નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. એરએશિયાને આઠ સ્લોટ મળ્યા છે. ઇન્ડિગોએ 13 સ્લોટ મેળવ્યા છે, જેમાંથી ત્રણ સ્લોટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટેના છે. જેટે અબુધાબી, દમ્મામ, બહેરીન અને કુવૈત જેવાં સ્થળોની ઉડાન કેન્સલ કરી છે. એક જાણકાર વ્યક્તિ પ્રમાણે સ્પાઇસજેટને 10 નવા સ્લોટ મળ્યા છે.

ઉડ્ડયન ક્ષમતામાં ઘટાડો થવાના કારણે ટિકિટના ભાવમાં ઉછાળો આવ્યો છે. તેથી એરલાઇન્સની યીલ્ડ વધી છે પરંતુ ભારતીય પ્રવાસીઓના માથે બોજમાં વધારો થયો છે. મુંબઈ-દિલ્હી વચ્ચે શુક્રવારે સૌથી નીચું ભાડું ₹8,500 હતું જે શિયાળાની પિક સીઝનની સરખામણીમાં બમણું છે. મેટ્રો શહેરોને સૌથી વધારે અસર થઈ છે. જેટ હાલમાં 26 પ્લેન ઉડાવે છે. ડબ્લિન સ્થિત લેસર એવોલોનની નોટિસ પછી ગુરુવારે જેટનાં બે પ્લેન ડિરજિસ્ટર કરવામાં આવ્યાં હતાં.



from Page Array – I Am Gujarat http://bit.ly/2FTwIOE

No comments:

Post a Comment

Pages