વજન ઉતારશે મસાલા ચા

ચાના રસિયાઓ વજન ઉતારવા માટે મસાલા ચાની પ્યાલીનો ત્યાગ કરીને ગ્રીન ટીની ચૂસ્કી ભરતા હોય છે. મસાલા ચાના શોખીનોને ગ્રીન ટી પીવી પડે તો કેટલું કષ્ટદાયક હોય છે. માથું દુઃખતું હોય કે ગળું ખરાબ હોય એક કપ મસાલેદાર ચા પીવો એટલે મૂડ એકદમ ફ્રેશ થઈ જાય. કડક મીઠી મસાલેદાર ચા મોટાભાગના ચા રસિયાઓને પસંદ હોય છે પરંતુ વજન વધી જવાના ડરે ચા પીવાની ઓછી કરવી પડે છે પણ જો આ જ મસાલેદાર ચા વજન ઓછું કરવામાં મદદ કરે તો કેવું રહેશે? નવાઈ લાગીને વાંચીને! જો મસાલેદાર ચાને આ રીતે બનાવશો તો વજન ઉતારવામાં મદદરૂપ થશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મસાલા ચા બનાવવાની સામગ્રી

10 લવિંગ
15 ઈલાયચી
3 ટેબલસ્પૂન કાળા મરી
3 ટેબલસ્પૂન વરિયાળી
1 આખું તજ
અડધી ટેબલસ્પૂન સૂંઠ
મસાલા ચા બનાવવાની રીત

સૂંઠ અને તજ સિવાયના બાકીના મસાલાને બે મિનિટ માટે શેકી લો. હવે તજ ઉમેરો અને 30 સેકંડ સુધી શેકો. ગેસ બંધ કરો. હવે સૂંઠ ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણ ઠંડું પડે એટલે મિક્સરમાં વાટી લો. બરાબર ભૂકો થઈ જાય ત્યાં સુધી મિક્સરમાં ફેરવો. તૈયાર છે ચાનો સ્પેશિયલ મસાલો. હવે જ્યારે પણ ચા બનાવો ત્યારે તેમાં અડધી ચમચી આ મસાલો ઉમેરો.
વજન ઉતારવામાં કઈ રીતે ઉપયોગી?

તજ– શરીરના ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખવા માટે તજ ઉપયોગી છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘણાં ઘરેલુ ઉપચારોમાં પણ તજનો ઉપયોગ થાય છે. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરિ તત્વો મેટાબોલિઝમ સુધારવામાં લાભદાયી સાબિત થાય છે.
લવિંગ– ચામાં સુગંધ ઉમેરવાની સાથે લવિંગ આંતરડાની ક્રિયા સુધારે છે. સાથે ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રાખે છે.
કાળા મરી– આમાં રહેલું પાઈપેરિન (piperine) નામનું તત્વ મેટાબોલિઝમ સુધારે છે અને શરીરમાં ચરબીનો સંગ્રહ થતો રોકે છે. જેથી વજન ઉતરવાની પ્રક્રિયા ઝડપી બને છે.
વરિયાળી– શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢવાની સાથે વરિયાળીમાં રહેલું ફાયબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. જેથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટવામાં સરળતા રહે છે.
ઈલાયચી– જૂની અને જાણીતી ઈલાયચી વજન ઘટાડવામાં ઉપયોગી છે. આ સુગંધીદાર તેજાનો પાચનક્રિયા સુધારે છે. ઈલાયચીમાં મેલેટોનિન (melatonin) નામનું પોષક તત્વ રહેલું છે જે શરીરમાં ચરબી બાળવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે.
આ બધા જ મસાલામાં ચરબી ઓગળવાના ગુણો રહેલા છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે.
આટલું યાદ રાખો

ચા બનાવતી વખતે ખાંડ કે મધ ન નાખવું કારણકે બંનેમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે. વજન ઉતારવાના પ્રયાસમાં લાગેલા લોકો ખાંડ બંધ કરીને મધનો ઉપયોગ શરૂ કરે છે એમ વિચારીને કે મધ સ્વાસ્થ્યવર્ધક છે. મધની એક ચમચીમાં 64 કેલરી હોય છે. જ્યારે ખાંડની એક ચમચીમાં 49 કેલરી હોય છે. ગરમ ગરમ ચા ખાંડ કે મધ નાખ્યા વિના પીશો તો વજન ઉતારવામાં અસરકારક રહેશે.
Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો અમલ કરતા પહેલા આપના ડૉક્ટરની સલાહ ચોક્કસ લેશો.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2IRW5Dy
No comments:
Post a Comment