Latest

Friday, April 5, 2019

ટિકિટ ન મળતા સુમિત્રા મહાજન નારાજ, પક્ષને પત્ર લખીને વ્યક્ત કર્યો બળાપો

ઈન્દૌર: મધ્ય પ્રદેશની ઈન્દૌર લોકસભા બેઠક પર આ વખતે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનનું પત્તું કપાયું છે. ભાજપે અત્યાર સુધી ટિકિટ ન આપતા અસમંજસની સ્થિતિ પર સવાલ ઉઠાવતા મહાજને ચૂંટણી લડવાનો જ ઈન્કાર કરી દીધો છે. તેઓ અત્યાર સુધી ટિકિટની રાહ જોઈ રહ્યાં હતાં. જોકે, પોતાનું નામ જાહેર ન થતાં તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરવાની સાથે પત્ર લખીને પક્ષ સમક્ષ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

પત્રમાં સુમિત્રા મહાજને જણાવ્યું છે કે, ઈન્દૌરથી આજની તારીખ સુધી કોઈ ઉમેદવાર જાહેર નથી થયો. આ અનિર્ણિત સ્થિતિ કેમ? સંભવ છે કે પક્ષને કોઈ નિર્ણય લેવામાં સંકોચ થઈ રહ્યો હોય. જોકે, મેં પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને નિર્ણય તેમના પર જ છોડ્યો હતો.

તેમણે આગળ લખ્યું છે કે, મને લાગે છે કે તેમના મનમાં હજુય કંઈક અસમંજસ છે, માટે હું ઘોષણા કરું છું કે મારે હવે લોકસભા ચૂંટણી નથી લડવી. તેમણે એમ પણ કહ્યું કે પક્ષ પોતાનો નિર્ણય મુક્ત મને કરે, નિ:સંકોચ થઈને જણાવે. ઉલ્લેખનીય છે કે, 75 વર્ષથી વધુ વયના ઉમેદવારોને ટિકિટ ન આપવાની ચર્ચા વચ્ચે સુમિત્રા મહાજનનું પત્તુ કપાશે તેવું નક્કી મનાતું હતું, કારણકે તેમની ઉંમર પણ 75 વર્ષ છે.

તેમણે ઈન્દૌરની જનતા તરફથી મળેલા પ્રેમ અને ભાજપના કાર્યકરો તરફથી મળેલા સહયોગ માટે તેમનો આભાર પણ માન્યો હતો. જો મહાજનને ટિકિટ ન મળી તો અડવાણી, જોશી અને કલરાજ મિશ્ર પછી તેઓ ભાજપના ચોથા વરિષ્ઠ નેતા હશે કે જેમની લોકસભા ચૂંટણીની ટિકિટ કપાઈ હોય.

વર્તમાન લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન લાંબા સમયથી ભાજપની ટિકિટ પર ઈન્દૌરના સાંસદ રહ્યાં છે. તેઓ આ બેઠક પરથી આઠ વાર ચૂંટણી જીત્યાં છે. આ વખતે પક્ષ આ બેઠક પરથી કોઈ નવા ચહેરાની શોધમાં છે. અટકળો અનુસાર, જો મહાજનને ટિકિટ ન મળે તો કૈલાશ વિજયવર્ગીય કે પછી ધારાસભ્ય માલિની ગૌડનો ચાન્સ લાગી શકે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2OQW43R

No comments:

Post a Comment

Pages