પાતળા થયા બાદ આવી ભૂલો ન કરતા

વજન ઘટાડવું એ ખાવાના ખેલ નથી. વજન વધતાં જેટલી વાર નથી લાગતી તેટલી મહેનત, સમય અને ધીરજ વજન ઘટાડવા પાછળ જોઈએ છે. જો કે, વજન ઉતરી જાય પછી તેને જાળવવું ખૂબ જરૂરી છે. બોડી શેપમાં આવી જાય પછી ધ્યાન રાખો તો ફરીથી શરીર ફૂલી જતાં વાર નથી લાગતી. વજન ઘટાડ્યા બાદ લોકો કેટલીક એવી ભૂલો કરે છે જે વજન વધવાનું કારણ બને છે. વજન ઘટાડ્યા બાદ આટલું ધ્યાન રાખશો તો જળવાઈ રહેશે ફિગર.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જમવામાં ધ્યાન રાખો

વજન ઉતાર્યા બાદ ખાવાપીવામાં ખાસ ધ્યાન રાખો. વધેલું વજન હતું ત્યારે જેટલું જમતા હતા તેટલું જ વજન ઉતાર્યા પછી ખાશો તો ફરી પાછા ત્યાં જ આવી જશો જ્યાંથી શરૂ કર્યું હતું. હવે પાતળા થઈ ગયા છીએ તો ખવાય એમ માનીને ખાધા નહીં કરવાનું. માપસરનો જ ખોરાક લેવો.
ડાયટ અને વર્કઆઉટ છોડી ન દો

તમારા ટાર્ગેટ મુજબ વજન ઘટાડ્યા બાદ વર્કઆઉટ કે ડાયટ છોડી દેશો તો બધી જ મહેનત પાણીમાં જશે. ઘટાડેલું વજન જળવાઈ રહે તે માટે તમારું ડાયટ અને વર્કઆઉટ રૂટિન નિયમિત ચાલુ રાખો તે જરૂરી છે. સાથે જ લાઈફસ્ટાઈલમાં થોડા ફેરફાર કરો.
કેલરીની ગણતરી કરો

યાદ કરો ડાયટિંગના દિવસો જ્યારે તમે દરેક વસ્તુની કેલરી ગણી ગણીને ખાતા હતા. વજન ઘટાડ્યા બાદ કેકનો એક નાનો ટુકડો કે પિઝ્ઝાની એક એક્સટ્રા સ્લાઈસ ખાઈ લેવી નાની બાબત લાગશે પરંતુ ધીમે-ધીમે વધારે પડતું ખાવાની આદત પડી જશે. અને વજન પાછું વધી જશે.
આ કારણે પણ વધી જાય છે વજન

તમે એકદમ ચુસ્ત ડાયટ ફોલો કરવામાં કાર્બ્સને થાળીમાંથી દૂર કરી દીધા હશે તો મોડે-મોડે પણ તેની આડઅસર થઈ શકે છે. એકદમ ચુસ્ત ડાયટ લેવાથી શરીરમાં પોષક તત્વો અસંતુલિત થઈ શકે છે અને જ્યારે ફરીથી કાર્બ્સનું સેવન શરૂ કરો ત્યારે ઝડપથી વજન વધી જશે. જ્યારે કાર્બ્સ ખાવાનું છોડી દો છો ત્યારે શરીર સંગ્રહ કરેલા કાર્બ્સનો ઉપયોગ કરે છે અને ફરીથી કાર્બ્સવાળી વસ્તુઓનું સેવન શરૂ કરો એટલે અચાનકથી આવેલા આ ફેરફારની સામે શરીર પ્રતિક્રિયા આપે છે. પરિણામે વજન વધે છે.
પૂરતી ઊંઘ લો

સ્થૂળતા અને ઊંઘ ન આવવી એકબીજાના પર્યાય છે. જો તમારે વજન ઘટાડવું હોય તો ગાઢ નિંદ્રા લો તે જરૂરી છે. અપૂરતી ઊંઘના લીધે સ્ટ્રેસ અને કોલેસ્ટ્રોલ વધે છે. પરિણામે તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક તરફ આકર્ષાવ છો.
શું ખાધું અને કેટલું ખાધું?

જેટલું ખાઓ તેનો હિસાબ રાખો. જી હા, ઉતરેલું વજન ફરીથી વધી ન જાય તેના માટે શું ખાધું, કેટલું ખાધું તે બધી બાબતોની પૂરતી કાળજી લો. જો તમે કેટલું ખાધું અને શરીરમાં કેટલી કેલરી ગઈ તેનો રોજનો હિસાબ નહીં રાખો તો પછી વજન વધતાં વાર નહીં લાગે.
વર્કઆઉટમાં ફેરફાર કરો

જો તમે એકનું એક જ વર્કઆઉટ કરો અને કોઈપણ ફેરફાર ન કરો તો શરીર તેનાથી ટેવાઈ જાય છે. થોડા થોડા સમયે નવી નવી કસરતો કરતાં રહેવી જે શરીર માટે પડકારરૂપ હોય. જો તમને લાગતું હોય કે કોઈ કસરત તમે લાંબા સમયથી કરી રહ્યા છો તો હવે કસરત બદલવાનો સમય આવી ગયો છે.
from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2VGiDxR
No comments:
Post a Comment