Latest

Thursday, May 16, 2019

તત્કાલ બુકિંગના સમયે જ IRCTCની વેબસાઈટ ખોરવાતા લાખો લોકો થયાં પરેશાન

તત્કાલ ટિકિટ મળવામાં થઈ મુશ્કેલી

અમદાવાદ: આજે તત્કાલ ઓનલાઈન ટિકિટ બુક કરાવનારા લાખો લોકોને IRCTCની વેબસાઈટ ઠપ્પ થઈ જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવેની એસી ક્લાસની તત્કાલ ટિકિટનું બુકિંગ સવારે સાડા દસ વાગ્યે અને નોન-એસી ક્લાસની ટિકિટનું બુકિંગ 11 વાગ્યે શરુ થતું હોય છે. જોકે, ટેકનિકલ ખામીને કારણે હજારો લોકો ટિકિટ બુક નહોતા કરી શક્યા.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

વેબસાઈટ ખૂલી જ નહીં

આજે સવારથી જ IRCTCની વેબસાઈટમાં લોગીન થવામાં જ યુઝર્સને ખાસ્સી પરેશાની આવી રહી હતી. યુઝર આઈડી નાખ્યા બાદ કેપ્ચા લોડ જ નહોતા થઈ રહ્યાં. જો એકવાર લોગીન થઈ પણ જાઓ તોય ટ્રેન સર્ચ કરવા જાઓ ત્યાં જ તેની જાતે જ યુઝર્સ લોગ-આઉટ થઈ જતાં હતાં, અને ટિકિટ બુક નહોતા કરાવી શકતા. વારંવાર લોગીન કરવાના પ્રયાસમાં IRCTCની વેબસાઈટ પર મેઈન્ટેનન્સ એક્ટિવિટીનો મેસેજ પણ ડિસ્પ્લે થતો હતો.

વેબસાઈટ ખૂલી ત્યારે ટિકિટો વેચાઈ ગઈ હતી

રેલવેની તત્કાલ ટિકિટ ઓનલાઈન સિવાય જુદા-જુદા સેન્ટરો પરથી પણ બુક થતી હોય છે. તત્કાલનો ક્વોટા ખૂલે તેની બે-પાંચ મિનિટમાં જ લગભગ બધી જ ટિકિટો વેચાઈ જતી હોય છે. તેવામાં આજે જે યુઝર્સ અનેકવાર પ્રયાસ કર્યા બાદ માંડ વેબસાઈટ એક્સેસ કરી શક્યા ત્યારે તત્કાલમાં પણ વેઈટિંગ શરુ થઈ ગયું હોવાના કારણે તેમને નિરાશ થવું પડ્યું હતું. બીજી તરફ, જેમને કોઈપણ સંજોગોમાં ટ્રાવેલ કરવું જ પડે તેમ હતું તેમણે નાછૂટકે પ્રિમિયમ તત્કાલમાં ટિકિટના બમણાથી પણ વધુ ભાવ ચૂકવવા પડ્યા હતા.

પ્રિમિયમ તત્કાલમાં બમણા રુપિયા ચૂકવવા પડ્યા

અમદાવાદના એક યુઝરે IamGujarat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને અમદાવાદથી રાજસ્થાનના અલવર જવા માટે તત્કાલકમાં આશ્રમ એક્સપ્રેસની સ્લીપર ક્લાસની ટિકિટ IRCTC પરથી બૂક કરાવવાની હતી. જોકે, તેઓ 11 થી 11.30 સુધી ટેકનિકલ ફોલ્ટને કારણે વેબસાઈટ એક્સેસ જ નહોતા કરી શક્યા. જ્યારે વેબસાઈટ ખૂલી ત્યારે તત્કાલનો ક્વોટા ખતમ થઈ ગયો હતો, અને તેમને પ્રિમિયમ ક્વોટામાં 525 રુપિયાની ટિકિટ 1250 રુપિયામાં ખરીદવી પડી હતી.

લાંબા અંતરની ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ

મહત્વનું છે કે, અમદાવાદથી ઉપડતી મોટાભાગની લાંબા અંતરની ટ્રેનોમાં હાલ વેકેશનની સીઝન હોવાથી લાંબુ વેઈટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે. રેલવે દ્વારા વધારાના કોચ જોડવાની, સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાની વારંવાર જાહેરાત કરાય છે, પરંતુ મુસાફરોની હાલાકીનો તેનાથી અંત નથી આવી રહ્યો. વળી, કેટલીક ટ્રેનોમાં તો ડાયનેમિક ફેર લાગુ પડતું હોવાના કારણે પેસેન્જરોને નછૂટકે વધારે રુપિયા આપવા પડી રહ્યા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2JnrEGf

No comments:

Post a Comment

Pages