Latest

Monday, May 20, 2019

JSWએ EV યોજના પડતી મૂકી, માત્ર પાવર ફોક્સ

69369124

મુંબઈ:JSW એનર્જીએ માત્ર પાવર બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. ઇલેક્ટ્રિક વ્હિકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં પ્રવેશની યોજના અભરાઈએ ચડાવ્યા બાદ કંપનીએ આવા ડાઇવર્સિફિકેશનની તમામ યોજનાઓ પડતી મૂકી છે.

JSW એનર્જીએ ઇલેક્ટ્રિક વ્હિકલ મેન્યફેક્ચરિંગ બિઝનેસમાં આવતાં 3-5 વર્ષમાં ₹6,500 કરોડનું રોકાણ કરવાની યોજના રદ કરી નાખી છે. હવે તે વીજ ઉત્પાદન ક્ષેત્રમાં એક્વિઝિશનની તક શોધી રહી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2018-’19ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુ-માર્ચ 2019) ₹4 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીએ વર્ષ પહેલાંના સમાન ક્વાર્ટરમાં ₹483 કરોડની ખોટ કરી હતી. તેની આવક વાર્ષિક ધોરણે 7 ટકા વધીને ₹2,018 કરોડ થઈ હતી.

JSW એનર્જીના જોઇન્ટ MD અને CEO પ્રશાંત જૈને કહ્યું હતું કે, “વીજળીની માંગ પાંચ ટકા વધી રહી છે પરંતુ તેની સામે વીજ ઉત્પાદન ક્ષેત્રે કોઈ નવો મૂડીખર્ચ ન થવાથી વાર્ષિક ધોરણે વીજ ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે. ઘણી ઓછી કંપનીઓ આ તકનો લાભ ઉઠાવી શકવાની સાનુકૂળ સ્થિતિમાં હશે અને અમે તેના પર ફોકસ કરવા માંગીએ છીએ.”

તેમણે કહ્યું હતું કે, 28,000 મેગાવોટ ક્ષમતા ધરાવતા પાવર યુનિટ્સ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હોવાથી કંપની એક્વિઝિશન્સની તક શોધવા સક્રિય પ્રયાસ કરશે. સ્ટ્રેસ્ડ એસેટ્સના રિઝોલ્યુશન માટે RBIએ ધારાધોરણોમાં ફેરફાર કર્યા હોવાથી આવતા 12-24 મહિનામાં પાવર સેક્ટરમાં કોન્સોલિડેશન જોવા મળશે.

“અમને પાવર સેક્ટરમાં ઓર્ગેનિક તથા ઈનઓર્ગેનિક ગ્રોથની નોંધપાત્ર તક દેખાઈ રહી છે. અમે કુતેર ખાતેના અમારા હાઈડ્રોપાવર પ્રોજેક્ટને પુન:જીવિત કરવાની શક્યતા પણ ચકાસી રહ્યાં છીએ” એમ જૈને ઉમેર્યું હતું.

હિમાચલપ્રદેશમાં કુતેર ખાતેના 240 મેગાવોટના હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં પ્રાણ ફૂંકવા માટે કંપનીએ તજવીજ હાથ ધરી છે. આ યુનિટ માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA)માં લોકસભાની ચૂંટણીને કારણે વિલંબ થયો છે પરંતુ હવે ટૂંક સમયમાં તેનો નિર્ણય લેવાઈ જશે તથા પ્રોજેક્ટના બાંધકામ પાછળ અન્ય પાંચેક વર્ષ લાગશે એમ મેનેજમેન્ટે જણાવ્યું હતું.

કંપનીએ ઇલેક્ટ્રિક વ્હિકલ બિઝનેસ માટે નાણાકીય વર્ષ 2018-’19માં ₹22 કરોડનો ખર્ચ કર્યો હતો પરંતુ હવે આ બિઝનેસની યોજના કેન્સલ કરી છે. “અમે આ બિઝનેસ માટે એક મજબૂત ટીમ બનાવી હતી. આ યોજનાને કેન્સલ કરવાનો નિર્ણય લેવા પાછળનું એક કારણ સરકારે પોલિસીમાં કરેલો ફેરફાર છે: સરકાર માસ ટ્રાન્સપોર્ટેશન પર વધારે ભાર મૂકી રહી છે.

ઇલેક્ટ્રિક વ્હિકલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર જે પોલિસી ધરાવે છે તેને જોતાં આ સેક્ટરને અમારા વિચારવા કરતાં વધારે સમયની જરૂર પડશે. વત્તા, અમે જેટલું વળતર મળવાની અપેક્ષા બનાવી હતી તે અમારા મૂડીખર્ચની નીતિ સાથે બંધબેસતી નહોતી, આથી અમે આ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો.” એમ જૈને ઉમેર્યું હતું.

કંપનીએ જણાવ્યું હતું કે, તે દર વર્ષે ₹1,800 કરોડનો મજબૂત કેશફ્લો ધરાવે છે, જેનો ઉપયોગ અત્યાર સુધી તો દેવું ઘટાડવા માટે અને બેલેન્સ શીટને મજબૂત બનાવવા માટે થતો હતો પરંતુ હવે તેનો ઉપયોગ ભવિષ્યમાં એક્વિઝિશન્સ માટે થઈ શકશે. ઋણમાં ઘટાડો કરવાની યોજનાથી કંપનીને ગયા નાણાકીય વર્ષમાં નફો હાંસલ કરવામાં મદદ મળી હતી. માર્ચના અંતે JSW એનર્જીનું કોન્સોલિડેટેડ દેવું ₹10,050 કરોડ નોંધાયું હતું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HCM6jk

No comments:

Post a Comment

Pages