અમદાવાદ: ધનતેરસનો દિવસ વિજય રુપાણી માટે ભારે રહ્યો. રાજ્યની છ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામ આવ્યાના બીજા જ દિવસે અમદાવાદ આવેલા અમિત શાહે ભાજપના કંગાળ પ્રદર્શન અંગે રુપાણી સમક્ષ નારાજગી વ્યક્ત કરી હોવાનુંકહેવાઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ તો, અમિત શાહે રુપાણી, વાઘાણી, પ્રદીપસિંહ જાડેજા અને ભીખુ દલસાણિયાને ગાંધીનગર સરકિટ હાઉસમાં બોલાવ્યા હતા. સૂત્રોનું એમ પણ કહેવું છે કે, શાહે આ મિટિંગ અચાનક જ ગોઠવી હતી.
અમિત શાહ સાથેની મિટિંગ બાદ વિજય રુપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થઈ ગયા હતા. 31મી ઓક્ટોબરે પીએમ મોદી ત્યાં આવી રહ્યા છે ત્યારે તેના માટે ચાલી રહેલી તૈયારીનું નિરીક્ષણ કરવા રુપાણી SoU જવા નીકળ્યા હતા. જ્યારે મીડિયાએ રુપાણીને પેટાચૂંટણીમાં ત્રણ બેઠકો પર થયેલી હારની જવાબદારી તેઓ લેશે કે નહીં તે અંગે સવાલ પૂછ્યો ત્યારે રુપાણી કોઈ જવાબ આપ્યા વિના નીકળી ગયા હતા.
સૂત્રોનું માનીએ તો, આ મિટિંગમાં પેટાચૂંટણીના પરિણામો પર નારાજગી વ્યક્ત કરતાં શાહે અમરાઈવાડીમાં ભાજપની માંડ થયેલી જીતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જો ત્યાં પક્ષની હાર થઈ હોત તો તેનો ફટકો પક્ષની પ્રતિષ્ઠા પર પડવાનું નક્કી હતું. છ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની ત્રણ બેઠકો પર જીત થઈ છે, જ્યારે કોંગ્રેસ ત્રણ બેઠકો પર જીતી છે.
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મળેલા ભવ્ય વિજય બાદ પાંચ જ મહિનામાં પક્ષનું પ્રદર્શન આ હદે કઈ રીતે કથળી ગયું તે અંગે પણ અમિત શાહે અઘરા સવાલ પૂછ્યાનું જાણવા મળી રહ્યું છે. અમારા સાથી અખબાર અમદાવાદ મિરરે શુક્રવારે જ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં મોટા પટલફેરની કવાયત શરુ થઈ ગઈ છે, અને 2022ની વિધાનસભા ચૂંટણી રુપાણીની આગેવાનીમાં નહીં લડાય.
from Page Array – I Am Gujarat https://ift.tt/2pOozXj
No comments:
Post a Comment