અમદાવાદ: રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદમાં ગઈકાલે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં ચામડી દઝાડી દે તેવી ગરમીનો અહેસાસ થયો હતો. રાત્રે પણ ઉકળાટનો અનુભવ થતાં લોકો પરેશાન થઈ ગયા હતા. તેમાંય જેમના એસી હાલ બગડ્યા છે તેમની હાલત તો લોકડાઉનને કારણે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, કારણકે એસી રિપેર કરાવવું હાલના સમયમાં અશક્ય બની ગયું છે, અને ગરમી અસહ્ય બની રહી છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં પણ હવે ઉનાળો શરુ થઈ ગયો છે. સોમવારે 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. રાજ્યમાં હજુય આગામી 36 કલાક હિટ વેવ ચાલુ રહેશે, અને કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે. શિયાળો લાંબો ચાલ્યા બાદ હવે એપ્રિલના મધ્યભાગમાં સૂર્યએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધુ છે.
આગામી દિવસોમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સુધી રહી શકે છે. જોકે, રાત્રે પણ ઘરમાં એસી વિના સૂવું હવે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ, અમદાવાદમાં જ એક વિસ્તારમાં ધાબે સૂવા ગયેલા લોકો વિરુદ્ધ પોલીસે લોકડાઉનનો ભંગ કરવાનો ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરતાં લોકો ધાબે સૂવા જતાં પણ ફફડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 21 દિવસ પહેલા લોકડાઉન જાહેર કરાયું ત્યારે ઉનાળાની ગરમી શરુ નહોતી થઈ. વળી, આ વખતે શિયાળો લાંબો ચાલ્યો હતો, અને માર્ચ મહિનો અગાઉ ક્યારેય ના રહ્યો હોય તેવો ઠંડો રહ્યો હતો. જેના કારણે અનેક લોકોએ પોતાના એસી સર્વિસ નહોતા કરાવ્યા. હવે કાળઝાળ ગરમી શરુ થઈ ગઈ છે, ત્યારે અનેક અમદાવાદીઓ એસી ચાલુ કરી તેમાંથી છૂટકારો મેળવવા મથી રહ્યા છે. જોકે, ઘણાના ઘરે એસી ખોટકાયા હોવાથી લોકડાઉનમાં આવા લોકો પરેશાન થઈ ગયા છે.
અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મારફતે કેટલાક વાચકોએ પોલીસને પૃચ્છા કરી હતી કે લોકડાઉનમાં એસી મિકેનિકને બોલાવી શકાય કે પછી નવું એસી ખરીદવું હોય તો શું કરવું? જેનો જવાબ આપતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો એસી મિકેનિક તમારી નજીકમાં જ રહેતા હોય અને ચાલતા આવી શકે તેમ હોય તો તેમને બોલાવી શકાય. જોકે, લોકડાઉન પૂરું ના થાય ત્યાં સુધી નવું એસી નહીં ખરીદી શકાય.
from Page Array – I Am Gujarat https://ift.tt/2VsJ6Nc
No comments:
Post a Comment