Latest

Monday, April 13, 2020

6 દિવસમાં બમણાં થયા કોરોનાના કેસ: દેશમાં સંક્રમિતોની સંખ્યા 9000ને પાર, 329નાં મોત

દુર્ગેશ નંદન ઝા, નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. રવિવારે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 9,000ના આંકડાને પાર કરી ગઈ. આ વાયરસે દેશમાં અત્યાર સુધીમાં 300 લોકોના જીવ લીધા છે. માત્ર રવિવારે જ કોરોનાના 763 કેસ સામે આવ્યા અને 39 દર્દીઓના મોત થયા હતા. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના લીધે પાંચનાં મોત થયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મહારાષ્ટ્રમાં કેસ 2000ની નજીક

મહારાષ્ટ્રમાં નવા 221 કેસ સામે આવ્યા છે અને 22 દર્દીઓનાં મોત થયા છે. રાજ્ય (અથવા દેશના કોઈપણ રાજ્ય)ના હિસાબે એક દિવસમાં આ આંકડા બીજા સૌથી વધારે છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 1982 કેસ નોંધાયા છે જ્યારે 149 લોકોના મોત થયા છે. મુંબઈમાં માત્ર એક જ દિવસમાં 16નાં મોત થયા છે, જે સૌથી વધારે છે. આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના નવા 152 કેસ સામે આવ્યા હતા.

રવિવારે રાત સુધી દેશમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા વધીને 9,188 સુધી પહોંચી ગઈ છે. જેમાં 763 નવા કેસ છે જ્યારે મૃત્યુઆંક 329 થયો છે. સૂત્રોનું માનીએ તો કોવિડ-19નું સંક્રમણ અત્યાર સુધીમાં 350થી વધુ જિલ્લાઓમાં ફેલાઈ ચૂક્યું છે, જે દેશના 50 ટકા છે. 6 એપ્રિલે દેશમાં કોરોનાના આશરે 4700 કેસ હતા અને છેલ્લા 6 દિવસની અંદર જ કેસ બમણાં થયા છે. જો કે, કોરોનાના દર્દીઓની સંખ્યા ડબલ થવાની ઝડપ ઘટી છે કારણકે અગાઉ 4.2 દિવસમાં જ કેસ બમણાં થયા હતા.

રાજધાની દિલ્હીની સ્થિતિ

દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ 1,154 થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 24 લોકોએ જીવ ગુમાવ્યો છે. રવિવારે દિલ્હીમાં નવા 85 કેસ નોંધાયા છે. કેસની દ્રષ્ટિએ જોઈએ તો મહારાષ્ટ્ર બાદ દિલ્હી બીજા સ્થાને આવે છે. દિલ્હીમાં કુલ કેસમાંથી આશરે 64 ટકા કેસ નિઝામુદ્દીન ક્લસ્ટ સાથે જોડાયેલા છે. રાજ્યમાં વધુ એક હોટસ્પોટ ઈસ્ટ દિલ્હીની કેન્સર હોસ્પિટલ બની છે. દિલ્હી સ્ટેટ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં ડૉક્ટરો, નર્સો અને કેટલાક દર્દીઓની સાથે 26 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તમિલનાડુમાં દર્દીઓની સંખ્યા 1000ને પાર

તમિલનાડુમાં નવા 106 કેસ નોંધાયા છે અને કુલ આંકડો 1075 પર પહોંચ્યો છે. તમિલનાડુના આરોગ્ય સચિવ બીલા રાજેશે જણાવ્યું કે, 106 નવા કેસમાં સંક્રમિત દર્દીઓની સારવાર કરતાં 8 ડૉક્ટરોનો પણ સમાવેશ થાય છે. 106 લોકોમાંથી 16એ આંતરરાજ્ય પ્રવાસ કર્યો હતો અને બાકીના સંક્રમિતો તેમના સંપર્કમાં આવ્યા હતા. આ નવા કેસોમાં બે રેલવે હોસ્પિટલ, બે રાજ્ય સરકારની હોસ્પિટલો અને બાકીની ચાર ખાનગી હોસ્પિટલમાં કાર્યરત ડૉક્ટરોનો સમાવેશ થાય છે.

ઉત્તરપ્રદેશમાં આગ્રા ચિંતાનું કારણ

ઉત્તરપ્રદેશની વાત કરીએ તો આગ્રા હોટસ્પોટ તરીકે સામે આવી રહ્યું છે. આગ્રા જિલ્લામાં 104 કેસ નોંધાયા છે. આ તરફ રાજસ્થાનમાં રવિવારે કુલ 104 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો આંકડો 104 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં નવા 48 કેસ સાથે રાજ્યનો કુલ આંકડો 516 પર પહોંચ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 282 કેસ નોંધાયા છે, જે રાજ્યમાં સૌથી વધારે છે. અમદાવાદ બાદ વડોદરામાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. રવિવાર સુધીમાં વડોદરામાં કુલ સંક્રમિતોની સંખ્યા 101 થઈ છે.

કર્ણાટકમાં કુલ નવા 17 કેસ નોંધાય છે, જે રાજ્ય માટે એક દિવસમાં સૌથી વધુ છે. આ રીતે કર્ણાટકનો કુલ આંકડો 232 થયો છે. આંધ્રપ્રેદશમાં કોરોનાના વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 2 થયો છે. જ્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 420 છે. તેલંગાણામાં રવિવારે બે દર્દીઓના મોત બાદ કુલ આંકડો 16 થયો છે. તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે, “સ્પષ્ટ છે કે કોરોના વાયરસનો ફેલાવો અટકી નથી રહ્યો. આખા દેશમાં પોઝિટિવ કેસ અને મૃતકોની સંખ્યા વધી રહી છે.” તેલંગાણામાં રવિવારે કોરોનાના દર્દીઓની સંખ્યા 531 થઈ હતી.

કેરળને થોડી રાહત

કેરળ માટે થોડી રાહતની વાત છે કારણકે રવિવારે અહીં માત્ર 2 કેસ નોંધાયા હતા. જ્યારે 36 દર્દીઓ સાજા થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં નવા 21 કેસ સાથે સંક્રમિતોનો કુલ આંકડો 245 થયો છે.

આ તરફ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં ટેસ્ટિંગની ક્ષમતા વધારવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલય દેશમાં કોવિડ-19ની તપાસ ક્ષમતા વધે તે મુદ્દે સતત ભાર આપી રહ્યું છે. જેથી કોરોના વાયરસના સંક્રમણનો ઝડપથી નાશ કરી શકાય અને અંતિમ સંક્રમિત વ્યક્તિ સુધી પહોંચવાનો રસ્તો સ્પષ્ટ બને.

લવ અગ્રવાલે કહ્યું, ટેસ્ટિંગ વધારવા માટે સરકારે માનસિક ચિકિત્સા સાથે જોડાયેલી 14 અગ્રણી સંસ્થાઓને નિશ્ચિત કરી છે. જે દેશની દરેક મેડિકલ કોલેજોને એ પદ્ધતિ શીખવે જેથી લોકો બીમારી છુપાવવાને બદલે વધુમાં વધુ સંખ્યામાં ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલ જાય. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેંદ્ર તબક્કાવાર રીતે આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા માટે રાજ્યો સાથે ચર્ચા કરી રહ્યું છે.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/2VnkAx9

No comments:

Post a Comment

Pages