Latest

Tuesday, April 28, 2020

પાલનપુરઃ કોરોનાનો ડર? મહિલાનો મૃતદેહ લેવા ન આવ્યો પરિવાર, હોસ્પિટલ સ્ટાફે કર્યા અંતિમ સંસ્કાર

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફે 65 વર્ષની કોરોના વાયરસથી પીડિત મહિલાના મૃત્યુ બાદ સોમવારે જાતે જ અંતિમ સંસ્કાર કરવા પડ્યા. આ પાછળનું કારણ માત્ર એટલું હતું કે તેના મૃત્યુ બાદ પરિવારે મૃતદેહ સ્વીકારવાથી ઈનકાર કરી દીધો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

હોસ્પિટલમાં સિવિલ સર્જન, ડો. જવાહર ચાંદનીએ અમારા સહયોગી TOIને જણાવ્યું કે, પાલનપુરથી 7 કિમી દૂર આવેલા ભાગલ ગામની મહિલાને તેના પરિવારજનો અહીં 23મી એપ્રિલે લાવ્યા હતા અને બીજા દિવસે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બનાસકાંઠામાં કોરોના વાયરસથી પહેલું મોત નોંધાયું છે.

ડો. ચાંદની કહે છે, ‘મહિલાના મૃત્યુ બાદ હોસ્પિટલે પરિવારના સભ્યોને અંતિમક્રિયા માટે મૃતદેહ લઈ જવા ઘણા ફોન કર્યા. પરંતુ તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતા અમે પણ ચોંકી ઉઠ્યા હતા. ઘણું સમજાવવા છતાં પણ તેઓ હોસ્પિટલ આવીને મૃતદેહ લઈ જવા માટે તૈયાર નહોતા.’ જે બાદ ડોક્ટર્સ અને નર્સ સહિતના સ્ટાફના કર્મચારીઓએ જ મહિલાની અંતિમક્રિયા કરાવી હતી.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 28 જેટલા કેસો નોંધાયા છે. જેમાંથી આ પહેલું મૃત્યું નોંધાયું હતું. આ પહેલા એક 5 વર્ષનો બાળક સફળતા પૂર્વક કોરોનાને હરાવીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો હતો. જ્યારે ગુજરાતમાં સોમવાર સુધીમાં 24 કલાકમાં નવા 247 કેસ સાથે કુલ કેસોની સંખ્યા 3548 સુધી પહોંચી ગઈ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે 197 કેસ નોંધાયા હતા. આ સાથે અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યા 2300 ઉપર પહોંચી ગઈ હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2zCuTpN

No comments:

Post a Comment

Pages