Latest

Friday, June 19, 2020

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે આજે ખરાખરીનો જંગ, ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા

કપિલ દવે, ગાંધીનગર: શુક્રવારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અન્ય એક રાજકીય ખરાખરીનો જંગ યોજાશે. બંને પક્ષો આ કસોટી માટે તૈયાર છે. ગુજરાતમાં રાજ્ય સભાની ચાર બેઠકો માટે બંને પક્ષો એડીચોટી લગાવી દેશે, જેમ 2017ની રાજ્યસભા ચૂંટણીમાં થયું હતું. બંને પાર્ટીઓ દાવા કરી રહી છે કે તેમના ઉમેદવારોની જીત નિશ્ચિત છે ત્યારે ચાર બેઠકો માટે યોજાનારો ખરાખરીનો જંગ રસપ્રદ બની રહેશે. ભાજપે ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે 2017ની જેમ આ વખતે પણ કોંગ્રેસમાં નેતાઓ પાર્ટી બદલો કરતાં જોવા મળ્યા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રાજ્યસભામાં બંને પક્ષોના સંખ્યાબળને ધ્યાનમાં લઈને તો ભાજપે મેદાનમાં ઉતારેલા ત્રણમાંથી બે ઉમેદવાર અને કોંગ્રેસના બેમાંથી એક ઉમેદવાર સરળતાથી જીત મેળવી શકશે તેમ લાગી રહ્યું છે. ધારી લઈએ કે, ચૂંટણીમાં બંનેમાંથી એકેય પક્ષના ધારાસભ્યો ક્રોસ વોટિંગ ના કરે અને ખોટા મત ના પડે તો પણ રાજ્યસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધારે હોવાથી ચારમાંથી ત્રણ બેઠકો પર કેસરિયો લહેરાઈ શકે છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડી લીધો છે ત્યારે પાર્ટીના બંને ઉમેદવારો જીતે તે કઠિન છે.

કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અને કોર્ટના આદેશ બાદ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 172 થઈ છે. ત્યારે જે-તે ઉમેદવારને રાજ્યસભાની ચૂંટણીમાં 35 મત મળે તો સરળતાથી જીતી શકે છે. ભાજપ પાસે 103 ધારાસભ્યો હોવાથી ત્રણેય ઉમેદવારોને જીત તરફ લઈ જવા માટે માત્ર બે ફર્સ્ટ પ્રેફરન્સ વોટ ખૂટે છે. કોંગ્રેસનું સંખ્યાબળ 65 છે ત્યારે જો બંને ઉમેદવારોને જીતાડવા હોય તો પાંચ ફર્સ્ટ પ્રેફરન્સ વોટની જરૂર પડે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ દાવા કર્યા છે કે, તેમને BTPના બે અને એક NCPના ધારાસભ્યનો ટેકો છે, ત્યારે એકમાત્ર અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપે તેવી સંભાવના છે.

ધારાસભ્યોનું સામી પાર્ટી માટે ક્રોસ વોટિંગ અને ખોટા મત પાડવાની સંભાવના વધારે છે, એવામાં ચૂંટણીના પરિણામ પર આની મોટી અસર થઈ શકે છે. 2017ની રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા અહમદ પટેલે નજીવા મતોથી જીત્યા હતા. એ વખતે બંને પક્ષોના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ અને ખોટા મત પાડ્યા હતા.

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે પોતાના ધારાસભ્યોને સખત ટ્રેનિંગ આપી છે. મત કેવી રીતે ગણાય છે અને કોને ફર્સ્ટ પ્રેફરન્સમાં, કોને સેકંડ પ્રેફરન્સ વોટ આપવો તે શીખવ્યું છે. બંને પક્ષોએ વારંવાર મૉક પોલ યોજીને ધારાસભ્યોને રાજ્યસભા ચૂંટણીની પાયાની હકીકતથી અવગત કર્યા છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વિજયનો દાવો કરતાં કહ્યું, “અમે ત્રીજી બેઠક પર પણ ઉમેદવાર ઉતાર્યો કારણકે અમને વિશ્વાસ છે કે અમે જીતીશું. ચારમાંથી ત્રણ બેઠકો પર ભાજપની જીત નક્કી છે. કોંગ્રેસે હાર માની લીધી છે.” ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું, “અમારા ધારાસભ્યોને લાંચ આપીને રાજીનામા અપાવવાની ભાજપની ગંદી રાજનીતિ છતાં અમે બે બેઠકો પર જીત મેળવીશું. ભાજપની જાળમાં હવે કોઈ ધારાસભ્ય નહીં ફસાય. અન્ય પક્ષના ધારાસભ્યો પણ અમારા માટે વોટ કરશે. ભાજપના પણ કેટલાક ધારાસભ્ય અમારા પક્ષમાં વોટિંગ કરીને અમને જીતાડશે તેવી આશા છે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/3hHlTkU

No comments:

Post a Comment

Pages