કોરોના વાયરસના કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના પગલે ઊભી થયેલી શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વાલી મંડળે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ જાહેર કરીને માસ ડ્રોપ આઉટ જાહેર કરવાની રજૂઆત કરી હતી. મતલબ કે, વિદ્યાર્થી હાલ જે ધોરણમાં છે તે જ ધોરણમાં આગામી વર્ષે ભણાવવામાં આવે. આ સિવાય રાજ્ય સરકારે શિક્ષણ માટે રિઝર્વ રાખેલા ફંડમાંથી શિક્ષકોના પગાર કરવાની વાત પણ કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મીડિયા રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં શિક્ષણને લગતા વિવિધ મુદ્દાઓ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ, વિદ્યાર્થી વિદ્યા સુરક્ષા સમિતિના પ્રમુખ ભાવિન વ્યાસ, બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા. વિવિધ ચર્ચા બાદ આગામી અઠવાડિયે પણ વધુ એક બેઠકનું આયોજન થયું હોવાની માહિતી મળી છે.
કોરોનાના પગલે રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેવાની જાહેરાત અગાઉ થઈ ગઈ છે. ત્યારે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રજૂઆત કરી કે, હાલની સ્થિતિને જોતાં દિવાળી સુધી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી સંભાવના ઓછી છે. તે પછી પણ સ્કૂલો ક્યારે શરૂ થશે તે હાલમાં કહી શકાય નહીં. આ સંજોગોમાં રાજ્ય સરકાર આ વર્ષને યૂનિક વર્ષ જાહેર કરે. યૂનિક વર્ષમાં તમામ વિદ્યાર્થીઓને માસ ડ્રોપ આઉટ ગણીને આ શૈક્ષણિક વર્ષ પૂરતી શાળાઓ બંધ રાખવામાં આવે. નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થી હાલ જે ધોરણમાં છે તે જ ધોરણમાં ફરીથી અભ્યાસ કરાવવામાં આવે.
આ સિવાય એવી પણ રજૂઆત કરી કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં ઓનલાઈન અભ્યાસ ચાલુ જ રાખવામાં આવે અને જ્યારે નવા વર્ષે વિદ્યાર્થીઓ સ્કૂલમાં તે જ ધોરણમાં ફરી ભણશે તો તેમનો પાયો મજબૂત થશે. ઉપરાંત શિક્ષકોના પગાર અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. રાજ્ય સરકાર પાસે શિક્ષણ માટે જે ફંડ રહેલું છે તેમાંથી જ શિક્ષકોના પગાર કરવામાં આવે તેવી રજૂઆત થઈ હતી. આ તમામ મુદ્દે ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં ફરી એકવાર વાલીઓ સાથે બેઠક કરવાની તૈયારી શિક્ષણમંત્રીએ દર્શાવી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Y9t25O
No comments:
Post a Comment