Latest

Monday, June 29, 2020

ચીનથી આવી ગયેલા માલસામાનને કસ્ટમમાં રોકી રાખવાથી નુકસાન ભારતને જ છેઃ નીતિન ગડકરી

દીપક કે દાસ, નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા થોડા દિવસોથી ચીન વિરોધી જબરજસ્ત લહેર ઉઠી છે. તેવામાં ચીનની કંપનીઓ પાસેથી પ્રોજેક્ટ પાછા ખેંચી લેવાથી લઈને ચીની માલના બહિષ્કાર જેવી અનેક ઘટનાઓ બની રહી છે. જોકે આ બધા વચ્ચે કેટલોક માલ જે પહેલાથી ભારતીય બંદરો પર પહોંચ્યો છે અથવા 15 જૂનની રાતના ભારતીય જવાનો પર ચીન દ્વારા કરવામાં આવેલ ઘૃણાસ્પદ હુમલા બાદ પહોંચી રહ્યો છે તેને કસ્ટમમાંથી પસાર થવામાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે હવે ટ્રાન્સપોર્ટ અને MSME વિભાગના કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ મુદ્દો ઉઠાવતા કહ્યું કે ‘જે માલ પહેલાથી જ ભારતીય બંદરો પર આવી ગયો છે તેને ક્લિયર કરવામાં મોડું કરીને આપણે ભારતીય વેપારીઓ, કંપનીઓનું જ નુકસાન કરી રહ્યા છીએ.’

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ગડકરીએ નાણાં મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયને સંબોધીને લખેલા પત્રમાં અપીલ કરી છે કે જે ચીની માલસામાન પહેલાથી જ ભારતીય બંદરો પર પહોંચી ગયો છે કે હમણા જ પહોંચ્યો છે તેને કસ્ટમ વગરે દ્વારા અટકાવી રાખવાથી ભારતના વેપારીઓનું નુકસાન છે કેમ કે આ માલસામાન માટે પેમેન્ટ તો પહેલાથી જ કરી દેવામાં આવ્યું છે ત્યારે તે માર્કેટ સુધી પહોંચે કે નહીં તેના પર ચીની કંપનીઓને કોઈ સમસ્યા જ નથી. તેમણે એક વેબ પ્લેટફોર્મ પર વાત કરતા કહ્યું કે ‘આપણું લક્ષ્ય ઓછું ઇમ્પોર્ટ-આયાત થાય તેના પર છે જેથી આપણે ઈમ્પોર્ટ ડ્યુટી વધારવી જોઈએ પણ જે પ્રોડક્ટ્સ પહેલાથી ભારત આવી ગઈ છે તેને અટકાવવાથી ભારતીય વેપારીઓનું જ નુકસાન થશે.’

ખેડૂત એસોસિએશન દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ તેમણે આ અંગે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયેલ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો હતો. ખેડૂતોના એસોસિએશને ગડકરીને મળીને જણાવ્યું હતું કે કઈ રીતે કસ્ટમ ક્લિયરન્સ મેળવવામાં તેમના દ્વારા મંગાવવામાં આવેલ મિકેનિકલ સ્પ્રેથી લઈને તેના સાધનોને અડચણ નડી રહી છે અને તેના કારણે ખેતીના કામમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે મિકેનિકલ સ્પ્રે સાધનોની શહેરમાં ખૂબ માગ હોવાથી ખેતરોમાં આવા સાધનોની ઘટ પડી રહી છે. ત્યારે બીજા નવા સાધનો જુદા જુદા બંદરો પર ફસાયેલા છે.

જ્યારે બીજા તરફ ચીન સાથે વિવાદ બાદ કસ્ટમ વિભાગ આવા દરેક શિપમેન્ટના 100 ટકા માલનું પરિક્ષણ કર્યા પછી જ તેને મંજૂરી આપી રહ્યું છે. જોકે આ માટે કસ્ટમ વિભાગ કોરોના મહામારીને કારણ બતાવી રહ્યું છે. જોકે ગડકરીના આ નિવેદન બાદ વિરોધ પક્ષોએ સરકારને ઘરેવા લાગતા તેમણે ટ્વિટર મારફત સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘હું અમારી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનનો વિરોધ નથી કરી રહ્યો પરંતુ જે પણ લોકોએ મારા નિવેદનનું ભળતું અર્થઘટન કર્યું છે તેમણે પહેલા એ જાણવું જોઈએ કે હું મેક ઇન ઇન્ડિયાનો કેટલો મોટો સપોર્ટર છું. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં અમારી સરકાર ભારત માટે અનેક નવા રિફોર્મ્સ અને નીતિઓ લાવી છે જેનાથી દેશના લઘુ અને મધ્યમ કદના બિઝનેસને નવી નવી તક મળે.’

મહત્વનું છે કે ગડકરીએ પોતાના પત્રમાં બંને પ્રધાનોને ખેતી માટે જરુરી ઇમ્પોર્ટ કરવામાં આવેલ સાધનોના જલ્દી ક્લિયરન્સ માટે અપીલ કરતા ક્યાંય ચીનનું નામ નથી લખ્યું પરંતુ સૂત્રોનું કહેવું છે કે આવા મોટાભાગના સાધનો ચીનમાંથી જ ઇમ્પોર્ટ કરવામાં આવતા રહ્યા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3gaCFHA

No comments:

Post a Comment

Pages