Saturday, June 20, 2020

ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટાયેલા સાંસદોને તમે કેટલા ઓળખો છો?

અમદાવાદ: હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે ગઈકાલે મોડી રાત્રે રાજ્યસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા. જેમાં ભાજપના રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને નરહરિ અમીન જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને વિજેતા જાહેર કરાયા. આ ચારેય વિજેતા ઉમેદવારો ગુજરાતના જ છે, અને તેઓ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે.

અભય ભારદ્વાજ

રાજકોટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા અજય ભારદ્વાજ યુગાન્ડામાં જન્મેલા છે. જોકે, ત્યાં ગૃહયુદ્ધ ફાટી નીકળતા તેમનો પરિવાર ભારતમાં આવી ગયો હતો. કોલેજના દિવસોથી જ તેઓ સંઘ અને ABVP સાથે સંકળાયેલા હતા. ભારદ્વાજ પીએમ મોદી સાથે પણ સીધો સંપર્ક ધરાવે છે. સમર્પિત કાર્યકર અને ચૂપચાપ પોતાનું કામ કરવામાં માનતા ભારદ્વાજને પોતાની નેટવર્કિંગ અને ઓર્ગેનાઈઝેશનલ સ્કીલને કારણે રાજ્યસભામાં મોકલાયા છે. ભાજપનો મજબૂત બ્રાહ્મણ ચહેરો ગણાતા ભારદ્વાજને 21મા કાયદા પંચના મેમ્બર પણ બનાવાયા હતા. 1995માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાજકોટ પશ્ચિમમાંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.

રમીલાબેન બારા

સનદી અધિકારીમાંથી રાજકારણી બનેલા રમીલાબેને પોતાની કારકિર્દીની શરુઆત વિજયનગરમાં સહાયક શિક્ષક તરીકે શરુ કરી હતી. 2002માં મોદી સીએમ હતા ત્યારે તેઓ ડેપ્યુટી સેક્રેટરી પદ પરથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ભાજપમાં જોડાયા હતા. ભૂતકાળમાં તેઓ ભાજપની ટિકિટ પર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. જોકે, 2003 સિવાયની તમામ ચૂંટણીમાં કોંગ્રેસ સામે તેમની હાર થઈ હતી. ભાજપના આદિવાસી ચહેરા તરીકે ઓળખ ધરાવતા રમીલાબેન પક્ષના ઉપ-પ્રમુખ પણ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ખેડબ્રહ્મા બેઠક પરથી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.

નરહરિ અમીન

મૂળ કોંગ્રેસના અને શક્તિશાળી પાટીદાર નેતા મનાતા નરહરિ અમીન ગુજરાતના ડેપ્યુટી સીએમ પણ રહી ચૂક્યા છે. જોકે, 2012માં તેમને વિધાનસભા ચૂંટણીની ટિકિટ ના મળતા તેઓ કોંગ્રેસમાંથી નીકળી ગયા હતા. રાજ્યસભાની ચૂંટણી લડનારા પાંચ ઉમેદવારોમાં તેઓ સૌથી ધનવાન ઉમેદવાર છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત વિદ્યાર્થી કાળથી જ શરુ કરી હતી. નવનિર્માણ આંદોલનમાં જોડાયેલા અમીન ગુજરાત યુનિ.ના સિન્ડિકેટ મેમ્બર પણ હતા. 16 વર્ષ સુધી નારણપુરાના કોર્પોરેટર રહી ચૂકેલા અમીન 1990ની જનતા સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. શહેરી વિકાસ, યુવા અને સાંસ્કૃતિક, શિક્ષણ તેમજ જેલનો હવાલો સંભાળી ચૂકેલા નરહરિ અમીન એપ્રિલ 1994માં ડેપ્યુટી સીએમ બન્યા હતા.

શક્તિસિંહ ગોહિલ

હાલ બિહાર કોંગ્રેસના ઈન્ચાર્જ શક્તિસિંહ ગોહિલ ગુજરાતના રાજ્ય કક્ષાના નાણાં, શિક્ષણ તેમજ નર્મદા યોજનાના મંત્રી રહી ચૂક્યા છે. 1994માં તેમણે ભાવનગરમાં મેડિકલ કોલેજ બનાવવાની માગ સાથે આરોગ્ય મંત્રીના પદેથી રાજીનામું ધરી દીધું હતું. તત્કાલિન સરકારે તેમની માગ પૂરી કર્યા બાદ તેઓ ફરી 1995માં ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી જીત્યા હતા. 12મી વિધાનસભામાં તેમણે જીતુ વાઘાણીને સાત હજાર મતોથી હરાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલ એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેઓ ભાવનગર દક્ષિણ બેઠક પરથી ત્રણવાર જીત્યા હોય. 2007થી 2012 દરમિયાન તેઓ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ હતા.



from Page Array – I Am Gujarat https://ift.tt/3hK9SLg

No comments:

Post a Comment

Pages