સુરત: ગુજરાતમાં કોરોનાના કહેર તો યથાવત છે પરંતુ અમદાવાદમાં કેસો ઘટવા લાગ્યા છે જ્યારે સુરતમાં કોરોનાની રફ્તાર તેજ થઈ છે. જેને કારણે આજે અને આવતીકાલે સુરતમાં હીરા બજાર અને ટેક્સટાઈલ માર્કેટ બે દિવસ સુધી બંધ રહેશે. શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકાએ સુરતના હીરા બજાર અને ટેક્સટાઈલ માર્કેટને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બંને માર્કેટમાં બે દિવસ કોઈપણ પ્રકારનું કામ કાજ કરવામાં નહીં આવે. ગંભીર બાબત તો એ છે કે, દરરોજ નોંધાતા નવા પોઝિટિવ કેસોમાં 40 ટકાથી વધુ કેસ હીરા બજારના જ છે.
લોકડાઉનના સમયમાં કોરોનાને સૌથી વધુ કાબુમાં રાખવામાં સફળ સુરત હવે અનલોકન-1માં બેકાબુ બની ગયું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કોરોનાનો કહેર માત્ર સુરત શહેરમાં જ નહીં પરંતુ આખા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. પહેલા 1000 કેસ વધવામાં બે મહિના લાગ્યા હતા. જ્યારે છેલ્લા એક જ અઠવાડિયામાં 1100થી વધુ કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 196 કેસ
શુક્રવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં સુરત શહેરના 161 અને જિલ્લાના 35 મળી કુલ 196 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કુલ કેસનો આંકડો 4000થી ઉપર પહોંચી ગયો છે. શુક્રવારે નોંધાયેલા કેસોમાં વકીલ, આર્કિટેક્ટ, પ્રિન્સિપાલ, નર્સ, ડોકટર, આયા અને કારપેન્ટર સાહિતનાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, એટલું જ નહીં, 41 રત્ન કલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવતા સ્થિતિ ગંભીર બની રહી છે.
કતારગામમા 300 રત્નકલાકારોને કોરોના
મીડિયા રિપોર્ટ મુજબ સુરતના કતારગામ ઝોનમાં સૌથી વધારે કેસ છે. શુક્રવારે નવા કેસ નોંધાતા ત્યાં કુલ કેસોનો આંકડો 1000ને પાર થયો છે. આ કેસની સંખ્યામાં સૌથી વધારે કેસ ડાયમંડ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના હતા. 300 કેસ એકલા ડાયમંડ વર્કરના હોવાનું આરોગ્ય વિભાગનું કહેવું છે. ડાયમંડ ફેક્ટરીઓમાં પાલિકાએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટેનો આગ્રહ રાખ્યો હતો. જેના માટે મોટી ફેક્ટરીઓ, ડાયમંડ એસોસિએશન સાથે બેઠક પણ કરી હતી. પરંતુ નિયમોનું પાલન ન થતા કોરોનાનું સંક્રમણ ઝડપથી વધુ રહ્યુ હોવાનું સામે આવ્યું છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/387vyg7
No comments:
Post a Comment