Latest

Thursday, July 9, 2020

મંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ: CM રૂપાણી અને અન્ય મંત્રીઓ નહીં થાય ક્વોરન્ટીન

કપિલ દવે, ગાંધીનગર: આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણ પાટકરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છતાં મુખ્યમંત્રી રૂપાણી અને અન્ય મંત્રીઓએ ક્વોરન્ટીનમાં નહીં જવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં બુધવારે શિડ્યુલ મુજબ જ કેબિનેટની બેઠક યોજાઈ હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું, “છેલ્લી કેબિનેટ બેઠકમાં રમણભાઈએ મુખ્યમંત્રી, મારાથી અને અન્ય મંત્રીઓથી દૂર બેઠા હતા. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું હતું. અમે બધા એકબીજાથી સુરક્ષિત અંતર રાખીને બેઠા હતા એટલે ક્વોરન્ટીનમાં થવાની જરૂર નથી. ગયા અઠવાડિયાથી તેઓ એકપણ મંત્રીને પણ મળ્યા નથી એટલે કોઈને ક્વોરન્ટીન થવાની જરૂર નથી.”

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

અગાઉ જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટવ આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી ક્વોરન્ટીન થયા હતા. કારણકે ધારાસભ્ય ખેડાવાલાએ આ ત્રણેયની મુલાકાત લીધી હતી તેમજ તેમની સાથે બેઠક કરી હતી.

મંત્રી રમણ પાટકર હાલ અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. તેમણે કહ્યું, “1 જુલાઈએ કેબિનેટ બેઠકમાં ભાગ લીધા બાદ મેં અરવલ્લી જિલ્લામાં પાર્ટીના કાર્યકરોની મુલાકાત લીધી હતી. તેના બીજા દિવસે જ મને ઉધરસ અને અન્ય બીજા લક્ષણો દેખાવાના શરૂ થયા હતા. હું મારા મતક્ષેત્રમાં પરત આવ્યો અને પછી 7 જુલાઈએ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક માટે ગયો હતો. જો કે, મારી તબિયત સારી ન હોવાથી ડૉક્ટરોએ મને કોરોનાનો ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. સિવિલની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.”

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલા રમણ પાટકરે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી કેટલીક બેઠકોમાં ભાગ લીધો હતો. આ સિવાય પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિધાનસભાની પેટાચૂંટણી માટેની તૈયારીની બેઠકોમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરી ભીખુભાઈ દલસાણિયા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત હતા. રમણ પાટકરે સ્વર્ણિમ સંકુલ 2માં કેટલાક IAS ઓફિસરોની પણ મુલાકાત લીધી હતી, જેના કારણે તેમના પણ ફફડાટ છે.

તો આ તરફ કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાના માતાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને રૂપાલાના ગાંધીનગર સ્થિત ઘરે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જ રૂપાલાના માતા વતન અમરેલીથી ગાંધીનગર આવ્યા હતા. પીએમ મોદી, સીએમ રૂપાણી અને ભાજપના નેતાઓએ રૂપાલા સાથે વાત કરીને તેમની માતાના ખબરઅંતર પૂછ્યા હતા અને ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/3fceiZZ

No comments:

Post a Comment

Pages