વડોદરાઃ ચાદર વેચતા અમદાવાદના 62 વર્ષીય વ્યક્તિ પર જુલમ ગુજારીને મોતને ઘાટ ઉતારી દેવાના મામલે સોમવારે રાત્રે ફરિયાદ નોંધાયા બાદ 6 આરોપી પોલીસકર્મીઓ ગુમ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
શહેર પોલીસે આ તમામને ઝડપી પાડવા માટે ચાર ટીમો બનાવી છે. જે આરોપીઓ છે તેમાં પોલીસ ઈન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ ગોહિલ, PSI દશરથ રબારી અને LRD જવાન પંકજ માવજીભાઈ, યોગેન્દ્રસિંહ જીલણસિંહ, રાજેશ સવજીભાઈ અને હિતેષ શંભુભાઈનો સમાવેશ થાય છે.
ગોહિલ અને રબારીને થોડા દિવસ પહેલા અમદાવાદમાં ટ્રાન્સફર આપવામાં આવ્યું હતું. LRD જવાનો કે જે પોતાના પરિવાર સાથે પોલીસ લાઈન્સમાં રહેતા હતા તેઓ ઘરને તાળું મારીને ફરાર થઈ ગયા છે. ચારેય જવાનોને બુધવારે સસ્પેન્ડ કરાયા હતા.
શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે, તેમણે ગોહિલ અને રબારી સામે પગલા લેવા માટે અમદાવાદ પોલીસને પત્ર લખ્યો છે. ગયા વર્ષની 10મી ડિસેમ્બરે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં પીડિત શેખ બાબુ નિશાર પર અત્યાચાર ગુજાર્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું અને તેમના મૃતદેહનો હજુ કોઈ પત્તો નથી. જો કે, પોલીસે FIRમાં કલમ 304 (ગેરઈરાદા પૂર્વક કરાયેલ હત્યા) હેઠળ ગુનો દાખલ કર્યો છે, નહીં કે કલમ 302 (હત્યા), પુરાવાનો નાશ કરવો અને ખોટી માહિતી આપવાના આરોપ હેઠળ.
‘દરેક આરોપી પોલીસકર્મીઓ પોતે નિર્દોષ હોવાની વાત પર તટસ્થ રહ્યા હતા. પૂછપરછ દરમિયાન પણ તેમણે પીડિત વિશે કંઈ જાણ ન હોવાનું કહ્યું હતું. જો તેઓ નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપવાનો ઈનકાર કરશે, તો તે તેમની વિરુદ્ધમાં જશે’, તેમ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં ગેહલોતે કહ્યું હતું.
તપાસ અધિકારીઓએ દાવો કર્યો છે કે, પોલીસની ટીમે શેખ બાબુની કડી મેળવવા માટે તેના હૈદરાબાદ સ્થિત ઘરની મુલાકાત પણ લીધી હતી.
10મી ડિસેમ્બર, 2019ના દિવસે શેખ બાબુ શહેરમાં આવ્યા હતા અને વડોદરા સેન્ટ્રલ બસ ડેપોની બહાર તેઓ જમાઈ ઈબ્રાહિમ ખાન પઠાણ સાથે મુલાકાત કરીને છુટ્ટા પડ્યા હતા. થોડા કલાક બાદ તેઓ ફરીથી મળવાના હતા પરંતુ નિશાર પાછા આવ્યા નહીં. પરિવારે એક મહિના સુધી તેમની શોધખોળ કરી હતી અને બાદમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, તેઓ નિર્દોષ હોવાનું કહેતા રહ્યા છતાં તેમને પટ્ટા વડે ખુરશી સાથે બાંધી દેવાયા હતા અને બાદમાં માર માર્યો હતો આટલું જ નહીં આરોપી પોલીસકર્મીઓએ તેમના હાથમાં પેન પણ ઘૂસાડી દીધી હતી.
નિશારના પરિવારે બાદમાં ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને શહેર પોલીસને તેના ગુમ થયાની તપાસ કરવા તેમજ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ અપાયો હતો. તપાસ દરમિયાન, સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શી દ્વારા ખુલાસો થયો હતો કે, નિશાર ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા તો હતા પરંતુ તેઓ ત્યાંથી બહાર નીકળ્યા હોવાના કોઈ પુરાવા નથી.
from Page Array – I Am Gujarat https://ift.tt/3gK7Fhx
No comments:
Post a Comment