Latest

Thursday, February 26, 2026

કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને અપાયેલી IMFની ભીખથી મોટું: UNમાં ભારત

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55મા સત્રમાં પાકિસ્તાને હંમેશાંની જેમ કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતનાં રાજદૂત અનુપમા સિંહે તેને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાન ‘લા-લા લેન્ડ’ એટલે કે ખયાલી દુનિયામાં જીવી રહ્યું છે. અનુપમા સિંહે પાકિસ્તાનના પ્રોપેગેન્ડાનાં તથ્યો સાથે જવાબ આપતાં તેની આર્થિક હાલત અને જમ્મુ-કાશ્મીરના વિકાસ વચ્ચેનો તફાવત વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો.

‘અમારું બજેટ, તમારી ભીખથી પણ મોટું’

સિંહે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ પર સીધો પ્રહાર કરતાં કહ્યું હતું કે કદાચ પાકિસ્તાન માટે માનવું મુશ્કેલ છે કે માત્ર જમ્મુ-કાશ્મીરનું વિકાસ બજેટ, તે બેલઆઉટ પેકેજથી બે ગણુંથી પણ વધુ છે, જેના માટે પાકિસ્તાન IMF પાસે મદદ માગી રહ્યું છે. તેમણે વ્યંગ કરતાં ઉમેર્યું હતું કે જો પાકિસ્તાનને વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચિનાબ બ્રિજ પણ ખોટો લાગે છે, તો તે હકીકતથી દૂર કોઈ કલ્પિત દુનિયામાં જીવી રહ્યું છે.

OICને પણ ઠપકો

ભારતે માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ તેના સમર્થનમાં બોલતાં ઇસ્લામિક સહકાર સંગઠન (OIC)ને પણ આડે હાથ લીધું હતું. અનુપમા સિંહે કહ્યું કે OIC એક દેશ (પાકિસ્તાન)ના પ્રોપેગેન્ડાનો બંધક બની ગયું છે અને હવે તે માત્ર તેની રાજકીય મજબૂરીઓનું પ્રતિબિંબ બનેલું એક ઇકો ચેમ્બર બની ગયું છે.

કાશ્મીર મુદ્દે સ્પષ્ટ સંદેશ

ભારતીય રાજદૂતે સ્પષ્ટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશાં રહેશે. કોઈ પણ ખોટો પ્રચાર આ સત્યને બદલી શકતો નથી. 1947ના ભારતીય સ્વતંત્રતા અધિનિયમ હેઠળ કાશ્મીરનું ભારત સાથેનું વિલય કાનૂની અને અંતિમ હતું. હવે જો કોઈ મુદ્દો બાકી છે, તો તે પાકિસ્તાન દ્વારા પાકિસ્તાન ઓક્યુપાઇડ કશ્મીર (POK) પર કરવામાં આવેલો ગેરકાનૂની કબજો છે. પાકિસ્તાને તાત્કાલિક તે વિસ્તાર ખાલી કરવો જોઈએ.

અનુપમા સિંહે કાશ્મીરમાં થયેલા રેકોર્ડ મતદાનનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ત્યાંની જનતાએ પાકિસ્તાનની હિંસા અને આતંકવાદની વિચારધારાને સ્પષ્ટપણે નકારી દીધી છે. કાશ્મીર હવે વિકાસ અને લોકશાહીના માર્ગે આગળ વધી રહ્યું છે.



from chitralekha https://ift.tt/ohLX9j1
via

No comments:

Post a Comment

Pages