Latest

Tuesday, May 21, 2019

EVM પર વિપક્ષના આકરા સવાલ, ચૂંટણી પંચે ગણી ગણીને આપ્યા જવાબ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામથી ઠીક પહેલા વિપક્ષે ચૂંટણી પંચ અને સત્તામાં રહેલા ભાજપ પર હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં સોમવારે રાત્રે ઈવીએમ બદલવાનો આરોપ લગાવતા બીએસપીના ઉમેદવાર અફઝલ અંસારી પોતાના સેંકડો સમર્થકો સાથે પહોંચીને ધરણાં કર્યા. આરજેડી નેતા રાબડી દેવી, પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિત ઘણા વિપક્ષી દળોએ ઈવીએમની સુરક્ષા પર સવાલ કર્યા છે. આ વચ્ચે ચૂંટણી પંચે એક નિવેદન જારી કરીને દરેક ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ, કઈ જગ્યા પર શું વિવાદ છે અને ચૂંટણી પંચે શું જવાબ આપ્યો….

ગાજીપુર
યુપીના ગાજીપુરના જંગીપુરમાં બનેલા સ્ટ્રોંગ રૂમ બહાર સોમવાર મોડી રાત્રે ગઠબંધન ઉમેદવાર અફઝલ અંસારી પોતાના સેંકડો સમર્થકો સાથે પહેંચીને ધરણા કર્યા. જિલ્લા પ્રશાસન અને પોલીસના ઘણા સમજાવ્યા બાદ પણ તેઓ ન માન્યા અને ઈવીએમની સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમને જિલ્લા પ્રશાસન પર ભરોસો નથી. તેમના લોકો જાતે મશીનની દેખરેખ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે ચંદૌલીમાં પણ ઈવીએમ બદલવાનો પ્રયાસ થયો છે. આ દરમિયાન તેમની એસડીએમ સાથે જીભાજોડી થઈ ગઈ.

આ મુદ્દા પર ચૂંટણી પ્રચારે સ્પષ્ટીકરણ આપતા કહ્યું, ગાજીપુરમાં ઉમેદવારના મતદાનમાં ઉપયોગ કરાયેલા ઈવીએમની દેખરેખનો જે મુદ્દો હતો તેને આયોગના દિશા-નિર્દેશો મુજબ સોલ્વ કરી દેવાયો છે. ડીએમ દ્વારા સ્ટ્રોંગ રૂમની બહાર અફઝલના એક વ્યક્તિને તહેનાત કરવા માટે ભારે સમજાવટ બાદ તેઓ માની ગયા હતા.

ચંદૌલી
ચંદૌલીમાં સકલડીહા વિધાનસભા ક્ષેત્રમાં સ્ટોર કરાયેલા ઈવીએમને સ્થાનિક મંડળ સમિતિમાં રાખવાને લઈને ગઠબંધન અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ. અહીં ધારાસભ્ય પ્રભુનારાયણ યાદવ સહિત તમામ નેતા ધરણાં પર બેસી ગયા. તેમને જિલ્લા પ્રશાસન પર ઈવીએમ બદલવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો. વિવાદ બાદ મશીનોને કલેક્ટર ઓફિસમાં મૂકવામાં આવ્યા. આ મામલે ચૂંટણી પંચે કહ્યું, ઈવીએમને લઈને કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા હતા. ઈવીએમની સુરક્ષામાં બધા પ્રોટોકોલનું પાલન કરાયું છે. ચંદૌલીના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે મશીનને મૂકવા મામલે બધાને પહેલાથી સૂચના આપી દેવાઈ હતી. આ બાદ પણ સમાજવાદી પાર્ટીના લોકોએ હંગામો કર્યો. તેમણે કહ્યું કે ઈવીએમની સુરક્ષા પર હવે સમાજવાદી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ સંતુષ્ટ છે.

ડુમરિયાગંજ
યુપીના ડુમરિયાગંજમાં પણ રિઝર્વ ઈવીએમને બીજી જગ્યાએ લઈ જવા પર વિવાદ થયો. ડુમરિયાગંજમાં જ્યારે રિઝર્વ ઈવીએમને અન્ય જગ્યાએ લઈ જવાતા હતા ત્યારે જુદી જુદી પાર્ટીના ઉમેદવારો અને સમર્થકોએ તેના પર સવાલ ઉઠાવ્યો. આ દરમિયાન પોલીસ તેમના સવાલોનો સંતોષજનક જનાબ ન આપી શક્યા. જેથી એસપી-બીએસપી ગઠબંધનના કાર્યકર્તા નારાજ થઈ ગયા. બાદમાં મોટા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને નારાજ ઉમેદવારો અને તેમના સમર્થકોને સ્ટ્રોન્ગ રૂમમાં લઈ જઈને ઈવીએમની સુરક્ષા બતાવાઈ. આ સંબંધમાં ચૂંટણી પંચે કહ્યું, ઈવીએમ સંપૂર્ણ સુરક્ષિત છે અને પ્રોટોકોલનું પાલન કરાયું છે. વિરોધ-પ્રદર્શન બિનજરૂરી હતું.

ઝાંસી
ઝાંસીમાં રિઝર્વ અને ખરાબ ઈવીએમને અન્ય જગ્યાએ લઈ જતા સમયે વિવાદ થઈ ગયો. વિપક્ષે આરોપ લગાવ્યો કે ઈવીએમને બદલાઈ રહ્યા છે. આ મુદ્દા પર ચૂંટણી પંચે સ્પષ્ટતા આપતા કહ્યું કે ઝાંસીમાં ઈવીએમ સંપૂર્ણ સુરક્ષામાં પ્રોટોકોલનું પાલન કરતા રાજકીય દળોના ઉમેદવારીની હાજરીમાં મૂકાયા છે. હવે આ મુદ્દો સોલ્વ થઈ ગયો છે. ચૂંટણી પંચે કહ્યું કે સ્ટ્રોન્ગરૂમમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. સીઆરપીએફ મશીનોની સુરક્ષા કરી રહી છે. ઉમેદવાર સ્ટ્ર્રોન્ગ રૂમને જોઈ શકે છે અને 24 કલાક ત્યાં પોતાના પ્રતિનિધિ એજન્ટને રાખી શકે છે.

રાબડી દેવીએ માગ્યો જવાબ
જણાવી દઈએ કે ઈવીએમની સુરક્ષાને લઈને વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. આરજેડી નેતા રાબડી દેવીએ કહ્યું, દેશભરના સ્ટ્રોન્ગ રૂમની આસપાસ ઈવીએમ મળી રહ્યા છે. ટ્રકો અને પ્રાઈવેટ વાહનોમાં ઈવીએમ પકડાઈ રહ્યા છે. આ ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે? ક્યારે, કોણ અને શા માટે તેને લઈ જઈ રહ્યા છે? શું આ પહેલાથી નક્કી કરાયેલી પ્રક્રિયાનો ભાગ છે? ચૂંટણી પંચે તરત જ સ્પષ્ટતા કરવી જોઈએ.



from Page Array – I Am Gujarat http://bit.ly/2QdhOaI

No comments:

Post a Comment

Pages